જાણો ગણપતિ વિસર્જન માટે કયો સમય છે શુભ, આ રીતે બાપ્પાની કરો વિદાઈ
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2019, બુધવાર
ભાદરવા માસની ચતુર્થીથી ચૌદશ સુધી ગણેશ ચતુર્થીનો પર્વ ઉજવાય છે. ચતુર્થી પર ગણેશજીની સ્થાપના થાય છે અને ચૌદશના દિવસે વિસર્જન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગણેશજીનું વિસર્જન થાય ત્યારબાદ તે ફરીથી કૈલાશ પર્વત પર પહોંચી જાય છે. તેથી જ સ્થાપનાની જેમ ગણેશ વિસર્જનનું પણ આગવું મહત્વ છે. આ દિવસે જાતકને અનંત શુભ ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ દિવસને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આ વર્ષે અનંત ચૌદરશ અને ગણેશ વિસર્જન 12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.
વિસર્જન કરવાની સાચી રીત
1. આ દિવસે સવારથી ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો.
2. ઘરમાં સ્થાપિત પ્રતિમાનું પૂજન કરવું. પૂજામાં નાળિયેર, શમીના પાન અને દૂધ અર્પણ કરવા.
3. ત્યારબાદ પ્રતિમાને ખોળામાં લઈ વિસર્જન માટે જવું.
4. વિસર્જન કરવા જતા પહેલા ગણેશજીને ચઢાવેલા ચોખા ઘરમાં છાંટવા.
5. મૂર્તિ વિસર્જન કરતી વખતે ચપ્પલ કે અન્ય ચામડાની વસ્તુઓ સાથે રાખવી નહીં.
6. પ્લાસ્ટિકની મૂર્તિ કે છબીનું વિસર્જન કરવું નહીં. માટીની મૂર્તિનું જ વિસર્જન કરવું જોઈએ.
7. વિસર્જન કરી ગણેશજી પાસે મંગલ કામના કરવી.
વિસર્જનના દિવસે કરવાના ઉપાય
એક ભોજપત્ર અથવા કાગળ લેવો. તેમાં અષ્ટગંધની શાહી અથવા લાલ રંગની શાહીથી સ્વસ્તિક બનાવવું. ત્યારબાદ સ્વસ્તિક નીચે ॐ ગં ગણપતયે નમ: લખવું. ત્યારબાદ તેમાં પોતાની સમસ્યાઓ લખવી. લખેલી વસ્તુઓ ચેકવી નહીં. સમસ્યાઓ લખ્યા બાદ નીચે પોતાનું નામ લખો અને ફરી ગણેશ મંત્ર લખો. સૌથી છેલ્લે પણ સ્વસ્તિક બનાવો. કાગળને વાળી રક્ષાસૂત્ર બાંધી અને ગણેશજીને સમર્પિત કરો. આ કાગળને પણ ગણેશજી સાથે વિસર્જિત કરી દો.
વિસર્જનનું મુહૂર્ત
ગણેશ વિસર્જનનું મુહૂર્ત સવારે 6 કલાકથી 7 કલાક સુધી છે. આ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ છે. આ ઉપરાંત બપોરે 1.30 કલાકથી 3 વાગ્યા સુધી પણ મૂર્તિ વિસર્જન કરી શકાય છે. આ વર્ષે ચૌદશ 12 સપ્ટેમ્બર સવારે 5 કલાકથી બીજા દિવસે સવારે 7 કલાક સુધી હશે.