આ દિવસથી થઈ જશે શુભ કાર્યો બંધ, નવેમ્બર સુધી નહી થાય કોઈ માંગલિક કામ
ચાતુર્માસ મહિનામાં જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે.
ચાતુર્માસ દરમિયાન વધુમાં વધુ સમય ધ્યાન અને પૂજામાં પસાર કરવો જોઈએ
Image social Media |
તા. 9 જૂન 2023, શુક્રવાર
હિન્દુ પંચાગ પ્રમાણે અષાઢ મહિનાની અગિયારસથી ચાતુર્માસની શરુઆત થઈ જાય છે. શાસ્ત્રોમાં એવુ બતાવવામાં આવ્યું છે કે, દેવપોઢી અગિયારસથી ભગવાન વિષ્ણુ સુઈ જાય છે. અને દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન ઉંઘમાથી જાગે છે. એટલે આ સમય દરમ્યાન કોઈ શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમ્યાન કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. એટલે કે વિવાહ, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. પરંતુ આ દરમ્યાન તમે જેટલું વધારે દાન, પુણ્ય, સેવા કર્મ, ભગવાનના જપ, ધ્યાન, પુજાના કામ કરશો તેનાથી વધારે એટલે બેગણુ ફળ પાપ્ત થશે. આવો જાણીએ કે ચાતુર્માસ ક્યારે શરુ થાય છે.
આ દિવસથી શરુ થશે ચાતુર્માસ
ચાતુર્માસની શરુઆત દેવપોઢી અગિયારસથી થાય છે. વર્ષ 2023ની દેવપોઢી અગિયારસ 29 જૂનના રોજ મનાવવામાં આવશે. આ સાથે જ ચાતુર્માસ શરુ થઈ જાય છે. ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના. પરંતુ આ વખતે 5 મહિના રહેશે, કારણે કારતક મહિનાની શુક્લ પક્ષની અગિયારસના રોજ ચાતુર્માસ પુરો થશે. એટલે કે 23 નવેમ્બરના રોજ પુરો થશે.
કેમ હોય છે 5 મહિનાનો ચાતુર્માસ
ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે જ્યારે ભગવાન નિદ્રા અવસ્થામાં હોય છે ત્યારે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરતા હોય છે. આ વખતે શ્રાવણના મહિનામાં અધિક માસ લાગે છે. જેથી કરીને આ વખતે શ્રાવણ બે મહિનાનો થઈ જાય છે. એટલા માટે આ વખતે ચાતુર્માસ 5 મહિનાનો રહેશે.
ચાતુર્માસમાં શું કરવું અને શું નહીં
- ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચાતુર્માસ મહિનામાં જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠવું શુભ માનવામાં આવે છે.
- ચાતુર્માસમાં દિવસમાં માત્ર એક જ વાર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઈચ્છો તો રાત્રે ફળ ખાઈ શકો છો. દુધ લઈ શકો છો.
- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસ દરમિયાન વધુમાં વધુ સમય ધ્યાન અને પૂજામાં પસાર કરવો જોઈએ. આ દરમિયાન દરરોજ સૂર્યને અર્ઘ્ય ચઢાવવું શુભ માનવામાં આવે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઈએ. દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ચાતુર્માસમાં આ કામ ન કરવું
- ચાતુર્માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવાનું ટાળો. આ દરમિયાન કાળા કપડા પહેરવા પર પ્રતિબંધ છે. આ સમય દરમિયાન લાલ અને પીળા વસ્ત્રો પહેરવા શુભ છે.
- આ સિવાય ચાતુર્માસમાં ગોળ, તેલ, મધ, મુળા, પરવર, રીંગણ વગેરે ગ્રહણ કરવા જોઈએ નહી.