આવતીકાલથી શરુ થતાં ચાતુર્માસમાં આ 10 નિયમો પાળો, આખા પરિવારની થશે ઉન્નતિ
ચાતુર્માસમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે.
ચાતુર્માસ અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધી હોય છે
Image Twitter |
તા. 28 જૂન 2023, બૂધવાર
આવતીકાલ તા. 29 જૂનને ગુરુવારના રોજ દેવઉઠી અગિયારસથી ચાતુર્માસનો પારંભ થાય છે. ચાતુર્માસને ચોમાસું પણ કહેવામાં આવે છે. ચાતુર્માસમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહેતા હોય છે. અને સૃષ્ટિમાં સચાલન ભગવાન શિવને સોપવામાં આવે છે. તે પાલક અને સંહારક બન્ને તરીકેની ભૂમિકા નિભાવે છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. અને તેમા લોકોએ સંયમ રાખવાની જરુરીયાત હોય છે. અને જે લોકો ચાતુર્માસમાં નિયમોનું પાલન કરે છે તે સુખી થાય છે અને તેના પરિવારની સદા માટે ઉન્નતિ થાય છે. તે સાથે ઘરમાં સુખ -સમૃદ્ધિ પણ વધે છે. અને તેના માટે કેટલાક નિયમો છે જે આ પ્રમાણે છે.
ચાતુર્માસના આ 10 નિયમોનું પાલન કરો
1. ચાતુર્માસ અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થઈને કારતક મહિનાની શુક્લ પક્ષની અગિયારસ સુધી ચાલે છે. આ ચાર મહિનામાં દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમાં શિવની પૂજા - આરાધના માટે શ્રાવણ મહિનો ઉત્તમ ગણવામાં આવે છે.
2. સમગ્ર ચાતુર્માસમાં બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ. કોઈની સાથે બદલો લેવાના વિચારો અને બદલાની વસ્તુઓથી દુર રહેવું. મન, કર્મ અને વાણીથી શુદ્ધ રહીને તમારી ક્ષમતા પ્રમાણે યથાશક્તિ દાન કરો.
3. ચાતુર્માસ દરમ્યાન રોજ એકટાઈમ ભોજન કરવું જોઈએ. વ્યક્તિએ રોજ સમયસર જમીન પર સૂવું જોઈએ. ઉપવાસ, જપ, તપ, ધ્યાન, યોગ વગેરે કરવા જોઈએ. તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહેશે.
4. ચાતુર્માસના વ્રતનું વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. નકામી વસ્તુઓમાં તમારી શક્તિનો ઉપયોગ ન કરવો. ક્રોધ પર નિયંત્રણ રાખો, બીજાની ખરાબીથી બચો. કોઈ પણ વાતનો ઘમંડ ના કરશો અને સતત આત્મ ચિંતન કરો.
5. ચાતુર્માસમાં દરરોજ સંધ્યા આરતી જરુર કરવી અને નવી જનોઈ ધારણ કરવી જોઈએ. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ સિવાય મહાદેવ, દેવી લક્ષ્મી, માતા પાર્વતી, ગણેશજી, રાધાકૃષ્ણ, પિતૃદેવ વગેરેની પૂજા કરવી જોઈએ.
6. ચાતુર્માસમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્ય ન કરવા, કારણ કે આ સમયે દેવતાઓ સૂતા હોય છે. આવી સ્થિતિમાં આ કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી.
7. ચાતુર્માસમાં પાન, દહીં, તેલ, રીંગણ, લીલોતરી, ખાંડ, મસાલેદાર ખોરાક, માંસ, દારુ, નમકીન ખોરાક વગેરેનું સેવન ન કરવું. માન્યતાઓ પ્રમાણે ચાતુર્માસમાં પાન છોડવાથી આનંદ મળે છે, દહીં છોડવાથી ગોલોક મળે છે, ગોળ છોડવાથી મીઠાશ મળે છે, મીઠું છોડવાથી પુત્ર સુખ પાપ્ત થાય છે.
8. ચાતુર્માસમાં પાંદડાવાળા શાકભાજી, ભાદ્રપદમાં દહીં, અશ્વિનમાં દૂધ અને કારતકમાં લસણ-ડુંગળીનું સેવન કરવાની મનાઈ છે. તેમજ ચાતુર્માસમાં કાળા કે વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ.
9. ચાતુર્માસમાં વ્યક્તિએ 5 પ્રકારના દાન કરવા જોઈએ, જેમાં દીપ દાન, અન્ન દાન, વસ્ત્ર દાન, છાયા દાન અને શ્રમ દાનનો સમાવેશ થાય છે.
10. ચાતુર્માસમાં તમે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો. ચાતુર્માસમાં ભગવાન શિવ અને વિષ્ણુની ભક્તિ કરવાથી તમારી સઘળી મનોકામનાઓ પુરી થાય છે.