Hanuman Janmotsav 2025: હિન્દુ ધર્મમાં હનુમાનજીના પ્રાગટ્ય દિવસનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. હિંદુ પંચાંગ પ્રમાણે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાનજી નાનપણથી જ પરાક્રમી અને ચંચળ હતા, તેમના પરાક્રમ અને વીરતા અને ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા વિશે આપણે સૌ પરિચિત છીએ. પરંતુ એવું કહેવાય છે કે, જો હનુમાન ચાલીસાનું શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે પઠન કરવામાં આવે તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિની થઈ શકે છે. પણ, શું તમને એ ખબર છે કે આ જ હનુમાન ચાલીસાની વિવિધ ચોપાઈઓનો એક મંત્રની જેમ જાપ કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થઈ શકે છે.
હનુમાન અર્ચનાની વિશેષ ફળદાયી ચોપાઈઓ
।। कवन सो काज कठिन जग माहि, जो नहीं होत तात तुम पाहि ।।
આ રામચરિતમાનસની ચોપાઈ છે, અને તેનો અર્થ એવો થાય છે કે, વિશ્વમાં કોઈ એવું કઠીન કાર્ય નથી, કે જે વીર હનુમાનજી ન કરી શકે. એટલે એવું કહેવાય છે કે, તમારુ કોઈ કાર્ય અટકેલું હોય તો આ ચોપાઈનો નિયમિત પાઠ કરવાથી વીર હનુમાન કાર્ય પુરુ કરે છે.
હનુમાનજીની પૂજા અર્ચના અને ભક્તિ કરવાથી अतुलित बल धामं અર્થાત અતુલીત બળની પ્રાપ્તિ થાય છે.
આ ઉપરાંત હનુમાન ચાલીસામાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે,
।।भूत पीशाच निकट नही आवे, महाबीर जब नाम सुनावे ।।
અર્થાત હનુમાજીની ભક્તિ કરનાર ભક્તને ક્યારેય ડાકીની, શાકીની કે ભૂત-પીશાચનો ડર રહેતો નથી.
।। नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा ।।
એટલે કે, જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને રોગ નડતો નથી અને જો કોઈ રોગ થયા હોય અને તે સમયે આ ચોપાઈની નિત્ય એક માળા કરવામાં આવે તો તે રોગમાંથી મુક્તિ મળે છે.
।। ओर मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे ।।
અર્થાત, જે વ્યક્તિ પર હનુમાનજી મહારાજની કૃપા હોય તે કોઈપણ અભિલાષા કરે તો તેને એવું ફળ પ્રાપ્ત થાય છે કે જેની જીવનમાં કોઈ સીમા નથી હોતી.
।। अष्ट सिद्धि नव निधि के दाता, अस बर दीन जानकी माता ।।
અર્થાત, હનુમાનજી મહારાજને માતા સીતા પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે, કે તેઓ કોઈપણ ભક્તને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે.
।। तुम्हरे भजन रामको पावे, जनम जनम के दुख बिसरावे ।।
અર્થાત હે હનુમાનજી મહારાજ આપનું ભજન કિર્તન કરવાથી ભગવાન શ્રીરામજી પ્રાપ્ત થાય છે અને ભક્તના જન્મ જન્માંતરના દુઃખો દૂર થઈ જાય છે.


