નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2017, બુધવાર
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે પછી તે દરરોજ ઘરમાં કરવામાં આવતી હોય અથવા તો કોઇ ખાસ અવસરે કરવામાં આવતી હોય. દેવી-દેવતાઓની પૂજામાં આપણે કેટલીય વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેમાં શંખ વગાડવા અને મંત્રોના ઉચ્ચારણ કરવાની વિશેષ ભૂમિકા હોય છે.
ધાર્મિક કારણોથી પૂજામાં શંખ અને મંત્રોના જાપથી ભગવાનના આશીર્વાદ મળે છે જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ત્યારે બીજી બાજુ શંખ વગાડવા અને મંત્રના જાપથી આપણને શારીરિક રીતે શક્તિ મળે છે.
પૂજામાં મંત્રોચ્ચારણથી આપણા શરીરની અંદર સ્પંદન પેદા થાય છે જેના કારણે આપણા વ્યક્તિત્વ અને બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થાય છે.
પુરાણોમાં શંખને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે પૂજા-અર્ચના અને માંગલિક કાર્યો પર શંખનું વિશેષ મહત્ત્વ હોય છે. શંખના ઉર્જા ચક્ર અને ધ્વનિના પ્રભાવથી જોખમકારક જીવ અડચણ રૂપ થતા નથી અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
પૂજામાં શંખ વગાડવાથી જે કંપન ઉદ્દભવે છે તેનાથી વાતાવરણમાં રહેલા બધા કીટાણુ નષ્ટ થઇ જાય છે.
શંખ વગાડવાથી સાહસ, ઇચ્છાશક્તિ, આશા જેવા ગુણોનો સંચાર થાય છે અને શ્વાસ સંબંધી રોગ, અસ્થમા અને ફેફસાના રોગમાં આરામ મળે છે.
જો કોઇ બોલવામાં અસમર્થ છે અથવા તો બોલવામાં તકલીફ પડે છે તો શંખ વગાડવાથી આ દોષ દૂર થાય છે. એટલામાટે દરરોજ પૂજા દરમિયાન શંખ વગાડવું જોઇએ.


