Surya Grahan 2026: આજે 17 ફેબ્રુઆરી 2026ના રોજ થનારું સૂર્યગ્રહણ ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે અને ચંદ્ર સૂર્યના પ્રકાશને આંશિક રીતે ઢાંકી દે છે, ત્યારે સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે. આ વખતે આ સંયોગ ફાલ્ગણ અમાસના દિવસે બની રહ્યો છે, તેથી તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ વધી ગયું છે.
ગ્રહણનો સમય
આ ગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 3:26 વાગ્યે શરૂ થશે અને રાત્રે 7:57 વાગ્યે પૂર્ણ થશે. આ વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ હશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. આ કારણે તેની ધાર્મિક અસર અહીં માનવામાં આવશે નહીં.
સૂતક કાળ
સામાન્ય રીતે સૂર્યગ્રહણના લગભગ 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે, જેમાં શુભ કાર્યો, પૂજા-પાઠ, મુસાફરી કે નવા કાર્યોની શરૂઆત ટાળવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી અહીં સૂતક કાળ લાગુ પડશે નહીં. સામાન્ય દિનચર્યા પર તેની કોઈ ખાસ અસર પડશે નહીં.
કેવું હશે સૂર્યગ્રહણ?
આ સૂર્યગ્રહણ વલયાકાર હશે, જેને અંગ્રેજીમાં “રિંગ ઓફ ફાયર” કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર સૂર્યને પૂરી રીતે ઢાંકી શકતો નથી, પરંતુ તેની વચ્ચે આવીને સૂર્યની કિનારીઓને ચમકતી અગ્નિ-વલય (રીંગ) જેવી દેખાવા દે છે. ખગોળીય દ્રષ્ટિએ આ દ્રશ્ય અત્યંત આકર્ષક હોય છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ગ્રહણ અવકાશી ઘટનાઓને સમજવા અને સૂર્યની સંરચનાના અભ્યાસ માટે મહત્વનું છે. બીજી તરફ, ધાર્મિક માન્યતાઓમાં તેને આત્મચિંતન, ધ્યાન અને સકારાત્મક ઉર્જાના સંચારનો સમય માનવામાં આવે છે.
રાખવાની સાવચેતીઓ
ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણના સમયને સંવેદનશીલ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે, તેથી અમુક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે:
શુભ કાર્યો: ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ, લગ્ન, ગૃહ પ્રવેશ કે કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવતી નથી. ઘણા મંદિરોના દ્વાર પણ બંધ રાખવામાં આવે છે.
ભોજન: ભોજન રાંધવા અને જમવાથી બચવાની સલાહ અપાય છે. જો ભોજન પહેલેથી બનેલું હોય, તો તેમાં તુલસીના પાન મૂકીને સુરક્ષિત રાખવાની પરંપરા છે.
મુસાફરી: ગ્રહણ કાળમાં મુસાફરી કરવી અશુભ માનવામાં આવે છે, ખાસ કરીને લાંબી યાત્રાઓ ટાળવી જોઈએ.
ગર્ભવતી મહિલાઓ: ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવધાની રાખવા કહેવામાં આવે છે, જેમ કે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો અને ઘરની બહાર ન નીકળવું.
અન્ય: ગ્રહણ સમયે ઊંઘવાનું પણ ટાળવું જોઈએ. ઘણા લોકો આ દરમિયાન મંત્ર જાપ, ધ્યાન કે ઈશ્વર સ્મરણને વધુ શુભ માને છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને ઘરની સફાઈ કરવી અને દાન કરવું શુભ માનવામાં આવે છે.


