Get The App

મેષ (અ.લ.ઇ.) .

Updated: Nov 5th, 2021

GS TEAM


Google News
Google News
મેષ (અ.લ.ઇ.)                                . 1 - image


- સ્થળ-સ્થાન પરિવર્તનથી તમારી આવકમાં, સુખ સંપત્તિમાં સાનુકૂળતા રહે

- આરોગ્ય સુખાકારી

આ વર્ષમાં આપની આરોગ્ય સુખાકારી એકંદરે સારી રહે પરંતુ અવાર નવાર માનસિક તણાવ-ચિંતાના કારણે દેહપીડા-મસ્તક પીડા, અનિંદ્રા અનુભવાય. વજનની વધઘટમાં આપે ધ્યાન રાખવું પડે. આંખને શ્રમ પહોંચે તેવા કામ હોય તેમણે ચૈત્ર મહિના સુધી આંખની કાળજી રાખવી. ત્યાર પછીનો સમય પાન-મસાલા-ગુટકા ખાનારને, દારૂ કે નશીલી દવાઓ લેનારને ગળામાં, મોંમાં, પેટમાં ઘાતક બિમારીની અસરનો સામનો કરવો પડે. ખર્ચા કરવા પડે. ફરજીયાત વ્યસન છોડવા પડે. વિજાતીય શારિરિક સબંધમાં એઈડ્સના ભોગ બનવું પડે. તે સિવાય ઉશ્કેરાટ-ગુસ્સો કરનારને બ્રેઈન સ્ટ્રોક આવી જાય. પડવા વાગવાથી-લપસી પડવાથી કે વાહનની-ટક્કરથી મસ્તકમાં ઈજા-પીડા અનુભવાય.

પત્ની-સંતાન-પરિવાર

પત્ની-સંતાન-પરિવાર માટે વર્ષ પ્રગતિકારક રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. આ વર્ષમાં પત્ની-સંતાન-પરિવારના સહયોગમાં, કામકાજમાં તમે આનંદમાં રહી શકો. તેમના માટે ખરીદી-ખર્ચ કરી શકો.

વર્ષારંભે કારતક વદ એકમથી ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન થતા ચૈત્રી નવરાત્રિ સુધી પત્ની-સંતાનના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. તેમાં તેમના ગ્રહયોગની પ્રબળતા ન ધારેલી સફળતા અપાવે. લાભ-ફાયદો કરાવે. ઉપરોક્ત સમય દરમ્યાન ધર્મકાર્ય-શુભકાર્યનો ખર્ચ થાય. સંતાનને આ વર્ષમાં વિદ્યાભ્યાસ માટે સારી તક મળવાથી અભ્યાસ માટે બહારગામ કે પરદેશ જવાનું થાય. ખર્ચ વધે પરંતુ પરિવારના સહયોગથી, આપની પત્નીની આવકથી કોઈ તકલીફ પડે નહીં. પરંતુ તા. ૧૫-૨-૨૦૨૨ થી તા. ૧૪-૪-૨૦૨૨ દરમ્યાન સંતાનને મિત્રવર્ગના કારણે, શારિરિક અસ્વસ્થતાના કારણે અભ્યાસમાં એકાગ્રતા જળવાય નહીં. તા. ૨૦/૧૧/૨૦૨૧થી તા. ૧૨-૪-૨૦૨૨ દરમ્યાન પત્નીને ફાયદો-લાભ થાય. મકાન વાહનની કે અન્ય ખરીદી થાય. પરસ્પર બન્નેને આનંદ-ઉત્સાહ રહે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

વર્ષારંભથી શનિ અને ગુરુ ગ્રહની સાનુકૂળતા નોકરીમાં તમારી મહેનતનું શુભ ફળ આપનાર રહે. તાંબાના પાયે શનિનું પરિભ્રમણ અને તા. ૨૦/૧૧/૨૦૨૧ કારતક વદ એકમથી ગુરૂ ગ્રહની પ્રબળતા યશ-પદ-ધનમાં વધારો કરાવે. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળે, આવક આવવાની શરૂઆત થાય. નવાનવી નોકરી હોય તેમને સારી તક પ્રાપ્ત થાય.

પરંતુ તા. ૨૯/૪/૨૦૨૨ થી તા. ૧૨/૭/૨૦૨૨ દરમ્યાન નોકરીમાં પ્રતિકૂળતા અનુભવાય. કામકાજમાં, સબંધ વ્યવહારમાં માનસિક તણાવ-ચિંતા રહ્યા કરે. હરો ફરો કામકાજ કરો પરંતુ કામની જવાબદારી-ભારણમાં-ચિંતામાં તમે અટવાયેલા રહો. સાથે કામ કરનારની પરેશાની-ઇર્ષા-અદેખાઈ-ખટપટ-અસહયોગ, અસહકાર, ઉપલા સ્તરે થતી કાનભંભેરણી વગેરેના કારણે તમારા કામમાં તમારી એકાગ્રતા જળવાય નહીં.

ઉપરોક્ત સમય દરમ્યાન આપે વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા-મૌન રાખીને શાંતિથી સમય પસાર કરી લેવો. તા. ૧૩/૪/૨૦૨૨ થી તા. ૨૯/૪/૨૦૨૨ સુધી વિશેષ સાવધાની-શાંતિ-સ્વસ્થતા જાળવવી. સરકારી નોકરી હોય કે ખાનગી સંસ્થામાં નોકરી હોય પરંતુ આકસ્મિક આધિ-વ્યાધિ-ઉપાધિ-બંધન અનુભવાય. સ્થળ-સ્થાન-કામની ફેરફારી થાય. મુશ્કેલી અનુભવાય.

જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને આંતર રાષ્ટ્રીય કામગીરી-જવાબદારીથી પરદેશ જવાની તક પ્રાપ્ત થાય. અથવા સંસ્થાગત બદલાવ-ફેરફારીની તક મળવાના ચક્રો ગતિમાન થાય. કાયમી સ્થિર નોકરી હોય તેમને બઢતી સાથે સ્થળાંતર સ્વીકારવું પડે, જવાબદારી સ્વીકારવી પડે. વર્ષારંભમાં તા. ૨૦/૧૧/૨૦૨૧ સુધી તેમજ તા. ૪-૧૨-૨૦૨૧થી તા. ૧૬/૧/૨૦૨૨ સુધી આરોગ્યની કાળજી રાખવી તેમજ વાહનથી સંભાળવું. નોકરીના કામકાજના સમય દરમ્યાન પોતાના અંગત કામથી ઉપરોક્ત સમય દરમ્યાન બહાર જવું આવવું નહીં. ખોટા કામ કે ખોટા સહી સિક્કા કરવા નહીં. ટુંકમાં આ વર્ષ આરોહ-અવરોહનું રહેવા છતાં તમારા યશ-પદ-ધન સચવાઈ રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

ધંધાની આવક, યશ-પ્રતિષ્ઠા, તમારી મહેનત-લગાવ તમારા માટે આશીર્વાદરૂપ રહેશે.

વર્ષ દરમ્યાન આરોહ-અવરોહની પરિસ્થિતિમાં તમારા ધંધાની આવક, બચતથી તમે આપત્તિ-મુશ્કેલીમાં ટકી શકો. તમારી હતાશા-નિરાશા નિવારી શકો. આ વર્ષની શરૂઆતથી જ આપે ધંધામાં લગાવ રાખી મહેનત કરતા રહેવું. જેમનો ધંધો નબળો હોય તેમને પણ અવાર નવાર ધંધો થવાથી, આવક આવવાથી હળવાશ-રાહત અનુભવાય. બાપ દાદાનો વારસાગત ધંધો હોય તેમાં તમારી મહેનત-એકાગ્રતા તમારા યશ-પદ-ધનમાં, માન-સન્માનમાં વધારો કરાવે. તમે તમારી જાત મહેનતથી જુના-નવા ધંધાકીય સબંધોનું સર્જન કરી આગળ વધી શકો. આવકમાં વધારો કરી શકાશે. નોકરી સાથે ધંધો કરનારને આ વર્ષ આવકની દ્રષ્ટિએ સાનુકૂળતાવાળું રહે અને પત્ની-સંતાન-પરિવારની સુખ-સંપત્તિમાં આનંદદાયક રહે.

વર્ષારંભે ધંધાના મુહરતમાં, કામકાજમાં લોભ-લાલચ કર્યા વગર મુહરતના કામકાજ કરવા. તા. ૧૬/૧૧/૨૦૨૧ થી તા. ૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન શેરોની લે-વેચમાં, ધાતુના વેપાર-ધંધામાં, મકાન-જમીન-મીલ્કતના કામકાજમાં સાવધાની રાખવી.

તા. ૪/૧૨/૨૦૨૧ થી તા. ૧૬/૧/૨૦૨૨ સુધીનો સમય આપના માટે અગ્નિ પરીક્ષાનો રહે. આ સમય દરમ્યાન આપે શરીર-મન-વિચારોનું-નિર્ણયનું સમતોલન જાળવીને ધંધામાં સમય પસાર કરવો પડે. સરકારી-રાજકીય-ખાતાકીય-કાનૂની કે પોલીસ કાર્યવાહી, હરિફવર્ગની આપત્તિ કે પરિવારની બિમારી-આપત્તિ-વિવાદના કારણે આપને શાંતિ-રાહત રહે નહીં. સોના-ચાંદી-તાંબાના-કેમીકલ્સ-દવાના વેપાર-ધંધામાં, મકાન-જમીનના લે-વેચના સોદામાં, કરારી કામમાં નુકસાન-વિવાદ-નાણાંની ફસામણી તમારા આરોગ્યને-મનને અસર કરી જાય. તા. ૧૬/૭/૨૦૨૨ થી તા. ૧૭/૮/૨૦૨૨ અશાંતિનો સમય રહે. 

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવારથી આનંદ રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. કારતક વદ એકમથી ચૈત્રી નવરાત્રિ સુધીનો સમય મહત્વનો રહે. જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને ઉપરોક્ત સમય દરમ્યાન કાર્યસફળતા-પ્રગતિથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. તે સિવાય પતિ-સંતાન-પરિવારને પણ ફાયદો-લાભ થાય. તા. ૨૬/૨/૨૦૨૨ થી તા. ૭/૪/૨૦૨૨ દરમ્યાન સગા-સબંધી-મિત્રવર્ગથી ચિંતા-મુશ્કેલી અનુભવાય. માતા-પિતા-સાસુ-સસરાથી ચિંતા રહે. પરદેશ જવાના પ્રયત્નમાં તા. ૧૩/૪/૨૦૨૨ પછીનો સમય સાનુકૂળતાવાળો રહે. નોકરી-ધંધો કરનારને કારતક વદ એકમથી ચૈત્રી નવરાત્રિ દરમ્યાન ફાયદો-લાભ થાય. પરંતુ તા. ૨૯/૪/૨૦૨૨ થી તા. ૧૨/૭/૨૦૨૨ દરમિયાન વાણીની કર્કશતા-વિવાદના કારણે તમારી જીદ્દ-મુમત-અહમના કારણે મુશ્કેલીમાં મુકાવ. સ્ટાફ સાથેની મિત્રતા-આકર્ષણ-પ્રભાવમાં તમારી યશ-પ્રતિષ્ઠા જોખમાય.સંયુક્ત પરિવારમાં રહેનારને જુદા રહેવાના  સંજોગો સર્જાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગને વર્ષારંભે વિદ્યાભ્યાસમાં પ્રગતિ-સફળતાથી આત્મ વિશ્વાસ જળવાય. વર્ષના ઉત્તરાર્ધમાં પરદેશ જવાના પ્રયત્નમાં સાનુકૂળતા થતી જાય. પરંતુ તા. ૨૯/૪/૨૦૨૨ થી તા. ૧૨/૭/૨૦૨૨ દરમ્યાન અભ્યાસમાં તેમજ આરોગ્યની બાબતમાં પ્રતિકૂળતા અનુભવાય. મિત્રવર્ગના પ્રભાવ-અસરના કારણે વાંચનમાં, અભ્યાસમાં એકાગ્રતા જળવાય નહીં. તા. ૧૩ એપ્રીલ ૨૦૨૨ થી તા. ૨૯ એપ્રીલ ૨૦૨૨ સુધીનો સમય સંભાળવો પડે. કોઈની વાતોથી દોરવાઈ જવું નહીં. પરીક્ષા દરમ્યાન પરીક્ષા સ્થળે જતા આવતા વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. અન્ય વિદ્યાર્થીના કારણે તમને તકલીફ થાય નહીં તેની તકેદારી-સાવધાની રાખવી. તા. ૧૭ મેથી તા. ૨૭ જુન દરમ્યાન વિદ્યાસંસ્થા-વિદ્યાશાખાની ફેરફારીથી ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. દોડધામ રહે. શૈક્ષણિક લોન લેવામાં તકલીફ પડે. વિલંબ થાય.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગને ખેતીવાડીમાં એકંદરે સાનુકૂળતા રહે. ખેતીની ઉપજ થાય, આવક થાય. કારતક વદ એકમથી સાનુકૂળતા થતી જાય. રૂકાવટવાળા કામ ઉકેલાય. નવા કામમાં, ઘર-પરિવાર-સંતાનના કામમાં ધ્યાન આપી શકો. પરંતુ ચૈત્ર ઉત્તરાર્ધથી અષાડી પૂનમ સુધીના સમય દરમ્યાન માનસિક તણાવ-ચિંતા-ખર્ચમાં-દોડધામમાં અટવાયેલા રહો. વ્યવહારિક-સામાજીક-પારિવારિક-કૌટુંબીક કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવવી પડે. તા. ૧૭-૫-૨૦૨૨ થી વૈશાખ વદ એકમથી તા. ૨૭-૬-૨૦૨૨ જેઠ વદ ચૌદશ સુધી ખેતીવાડીને લગતો ખર્ચ થાય. 

ઉપસંહાર

વર્ષ દરમ્યાન શનિની નાની કે મોટી કોઈ પનોતી નથી. ચૈત્ર વદ તેરસ સુધી તેમજ અષાડ સુદ તેરસ પછી શનિની પ્રબળતા તમારા નોકરી-ધંધાના કામકાજમાં યશ-પદ-ધનનો વધારો કરાવે. તા. ૨૦/૧૧/૨૦૨૧ થી તા. ૧૩/૪/૨૦૨૨ દરમ્યાન પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. પરંતુ તા. ૨૯/૪/૨૦૨૨ થી તા. ૧૨/૭/૨૦૨૨ સુધીનો સમય માનસિક તણાવ-ચિંતા-ખર્ચના રહે. દેશ-પરદેશના પ્રવાસનું આયોજન થાય. ધર્મકાર્ય થાય. તેમ છતાં આપને નોકરી-ધંધાના કામથી ઉચાટ-ઉદ્વેગમાં રહેવું પડે. પત્નીના સહયોગથી, હળવાશ-રાહત અનુભવો. ખરીદી થાય. સાસરી પક્ષમાં વડીલવર્ગને બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. વર્ષ દરમ્યાન ધર્મકારક ગ્રહ ગુરૂ ત્રણ રાશિમાં પરિભ્રમણ કરે છે તેથી તમારી ભક્તિ-પૂજા-મંત્રજાપમાં-આધ્યાત્મિકતામાં, ધર્મકાર્યમાં વધારો થાય. અન્યને દાન-દક્ષિણા આપી શકો.

આર્થિક સુખસંપત્તિ

વિક્રમ સંવત ૨૦૭૮માં કારતકથી ચૈત્ર મહિના દરમ્યાન કાર્યસફળતા-પ્રગતિથી, સ્થળ-સ્થાન પરિવર્તનથી તમારી આવકમાં, સુખ સંપત્તિમાં સાનુકૂળતા રહે. પરંતુ વૈશાખ-જેઠ મહિનામાં ખર્ચ-ચિંતા-નાણાભીડ-મુંઝવણ અનુભવાય. તા. ૧૭ મેથી તા. ૨૭ જુન ૨૦૨૨ સરકારી-રાજકીય-ખાતાકીય-કાનૂની તેમજ પોલીસ ઉપાધિમાં ફસામણી થાય તેવા કામ કે કોઈ નિર્ણય કરવા નહીં. મકાન-જમીન-મીલ્કતના વેચાણમાં, ખરીદીમાં, ફેર બદલીમાં, રીડેવલપમેન્ટમાં લાપરવાહી-બેદરકારી રાખવી નહીં. અન્ય લોકોની વાતોથી દોરવાઈ જવું નહીં.

તે સિવાય આવક સ્થગિત થઈ ગઈ હોય, આવકમાં ઘટાડો થયો હોય તેમને આવક થાય. પરિવારના ખર્ચ-વ્યવહારમાં મુંઝવણ-મુશ્કેલી ઓછી થાય. બચતમાં નાણાંનુ રોકાણ થઈ શકે. ફસાયેલા નાણાં જે આવવાની શક્યતા ન હોય, તે છુટા થાય. વડીલવર્ગના સહકારથી આપને હળવાશ રાહત, હિંમત રહે. સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન ઉકેલાય.

સગા સબંધી-મિત્રવર્ગના વ્યવહાર, સબંધમાં વર્ષ સાનુકૂળતાવાળું રહે. જુના-નવા સબંધ-સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય. પરંતુ તા. ૨૯/૪/૨૦૨૨ થી તા. ૧૨/૭/૨૦૨૨ દરમ્યાન કોઈનો વિયોગ સદેહે થાય અથવા મનદુઃખ, ગેરસમજ થવાના કારણે થાય. ઉપરોક્ત સમય દરમ્યાન સંતાનને વિદ્યાભ્યાસના કારણે, પરદેશ કે બહારગામ જવાના કારણે આપને-સંતાનને હોય સીકનેશ અનુભવાય.

તા. ૧૭/૫/૨૦૨૨ થી તા. ૨૭/૬/૨૦૨૨ સુધી આપે નાણાંકીય કામમાં, જવાબદારીમાં, બેંકના કામમાં, શેરોની કામગીરીમાં, બેંક લોન કે અન્ય લોન લેવામાં તકલીફ અનુભવવી પડે. સમયસર પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેના કામ થાય નહીં. વિલંબ થાય. લોભ-લાલચમાં વ્યાજે પૈસા ફેરવનારને, ધીરાણ કરનારને ઉપરોક્ત સમય દરમ્યાન બિમારીના કારણે ખર્ચા વધી જાય અને ખોટી રીતે લીધેલા નાણાં બિમારીમાં સમાઈ ગયાનો અનુભવ થાય. સત્યનિષ્ઠા-પ્રમાણિકતાથી કામ કરનારને આ વર્ષ યશ-પદ-ધનમાં વધારો કરનારું રહેશે. આનંદનું રહેશે.

Tags :