Get The App

ભારત નહીં પાકિસ્તાન-નેપાળમાં પણ ભોળેનાથના પૌરાણિક મંદિરો છે, આજે ભક્તોની ભીડ ઉમટશે

Updated: Feb 26th, 2025

GS TEAM


Google News
Google News
ભારત  નહીં પાકિસ્તાન-નેપાળમાં પણ ભોળેનાથના પૌરાણિક મંદિરો છે, આજે ભક્તોની ભીડ ઉમટશે 1 - image

Maha Shivratri: મહાશિવરાત્રિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાન સહિત દુનિયાના કેટલાય દેશોમાં ખૂબ ઉત્સાહ સાથે  મનાવવામાં આવે છે. શિવભક્તો આ વિશેષ દિવસે ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. આ દિવસ એ લોકો માટે મહત્ત્વપૂર્ણ પણ હોય છે. આ દિવસે દૂર દૂરથી ભક્તો ભગવાન શિવની આરાધના કરવા માટે આવી પહોંચે છે. 

પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા કેટલાક દેશોમાં ઐતિહાસિક મંદિરો આવેલા છે, જ્યા મહાશિવરાત્રિના અવસર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડે છે. તેમાથી કેટલાક મંદિરો તો હજારો વર્ષ જુના છે અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આવો આવા 7 મંદિરો વિશે જાણીએ જ્યા મહાશિવરાત્રિના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડે છે. 

વરુણદેવ મંદિર 

પાકિસ્તાનના કરાચીથી થોડેક દૂર આવેલા મનૌરા ટાપુ પર ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેને મનૌરા શિવ મંદિર અને વરુણ દેવ મંદિરના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ પ્રાચીનકાળમાં થયેલું છે અને આ હિંદુ શ્રદ્ધાળુઓ માટે એક મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. 

એવું માનવામાં આવે છે કે, આ મંદિર સમુદ્ર દેવતા વરુણ અને ભગવાન શિવની પૂજા માટે સર્મપિત છે. મહાશિવરાત્રિના દિવસે અહીં વિશેષ પૂજા -અર્ચના થાય છે.જેમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી હિંદુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જો કે, સમય સાથે મંદિરની સ્થિતિ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે, પરંતુ તેના ધાર્મિક મહત્ત્વમાં કોઈ કમી નથી આવી. 

કટાસરાજ મંદિર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું કટાસરાજ મંદિર શિવભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે માતા સતીનું મૃત્યુ થયું ત્યારે આ મંદિર તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું જ્યાં ભગવાન શિવના આંસુ પડ્યા હતા. આ મંદિર એક વિશાળ સંકુલમાં આવેલું છે, જેમાં ઘણા નાના અને મોટા મંદિરોનો સમાવેશ થાય છે.

મહાશિવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો અહીં ભેગા થાય છે, અને શિવલિંગનો જલાભિષેક કરે છે. પાકિસ્તાન સરકાર આ મંદિરને ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો પણ પ્રયાસ કરી રહી છે.

ગૌરી મંદિર

સિંધ પ્રાંતના થાર ક્ષેત્રમાં આવેલુ ગૌરી મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. આ મંદિર લગભગ 300 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. મંદિરની સ્થાપત્ય શૈલી રાજસ્થાની શૈલીને પ્રતિબિંબિત કરે છે, જે તેને વધુ ખાસ બનાવે છે. મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

પશુપતિનાથ મંદિર

નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. તે દક્ષિણ એશિયાના સૌથી પવિત્ર હિન્દુ મંદિરોમાંનું એક છે. દર વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે લાખો ભક્તો અહીં ભેગા થાય છે.

નેપાળ સરકાર આ દિવસે ખાસ વ્યવસ્થા કરે છે, અને મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પશુપતિનાથ મંદિરને શિવભક્તો માટે સ્વર્ગ પણ કહેવામાં આવે છે. નેપાળથી જ નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાંથી પણ ભક્તો અહીં દર્શન માટે આવે છે.

ગોરખનાથ મંદિર

કાઠમંડુમાં આવેલું ગોરખનાથ મંદિર પણ શિવભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મંદિર ગોરખનાથને સમર્પિત છે, જે ભગવાન શિવના અવતાર છે, જે નાથ સંપ્રદાયના મુખ્ય સંત હતા. મહાશિવરાત્રિ નિમિત્તે અહીં ખાસ પૂજા અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે કારણ કે નેપાળના રાજાઓ પણ તેની પૂજા કરતા હતા.

ત્રિંકોમાલી કોનેશ્વરમ મંદિર

શ્રીલંકાના ત્રિંકોમાલીમાં સ્થિત કોનેશ્વરમ મંદિર ભગવાન શિવના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર હિંદ મહાસાગરના કિનારે એક ટેકરી પર આવેલું છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને રામાયણ કાળ સાથે સંકળાયેલું છે. મહાશિવરાત્રિના દિવસે હજારો ભક્તો અહીં આવે છે, અને એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

ભગવાન શિવને સમર્પિત

શ્રી કૈલાવસનાથન સ્વામી દેવસ્થાનમ કોવિલ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર છે. મહાશિવરાત્રિના અવસરે આ મંદિરમાં હિન્દુઓની ભારે ભીડ ઉમટે છે. અહીં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, અને ખાસ કરીને આખી રાત જાગરણ પણ યોજાય છે. આ મંદિર તમિલ હિન્દુ પરંપરા અનુસાર ચલાવવામાં આવે છે અને સ્થાનિક લોકો ઉપરાંત, વિદેશી ભક્તો પણ તેની મુલાકાત લેવા આવે છે.

Tags :