Angarki Sankashti Chaturthi 2021: દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના વ્રતથી પ્રસન્ન થશે ભગવાન ગણેશ
નવી દિલ્હી, તા. 02 માર્ચ 2021, મંગળવાર
આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી મનાવવામાં આવી રહી છે. મંગળવારે સંકષ્ટી ચતુર્થી આવવાને કારણે તેને અંગારકી ચતુર્થી પણ કહેવામાં આવે છે. દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, વિઘ્નહર્તા દ્વિજપ્રિય ગણેશના ચાર માથા અને ચાર બાજુઓ છે. ભગવાનના આ રૂપનું વ્રત કરવાથી તમામ પ્રકારના કષ્ટ દૂર થઇ જાય છે. આ સાથે જ સારું સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે. આજે દરેક મા પોતાના સંતાનના આયુષ્ય માટે આ વ્રત રાખે છે. જાણો, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીની કથા વિશે...
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીની કથા :
પૌરાણિક કથા અનુસાર, એકવાર માતા પાર્વતી અને ભગવાન શિવ નદીની પાસે બેઠા હતા ત્યારે અચાનક માતા પાર્વતીએ ચોપાટ રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સમસ્યાની વાત એ હતી કે ત્યાં તે બંને ઉપરાંત ત્રીજું કોઇ ન હતું જે રમવામાં નિર્ણાયકની ભૂમિકા ભજવે. આ સમસ્યાનું સમાધાન કાઢતા શિવ અને પાર્વતીએ મળીને એક માટીની મૂર્તિ બનાવી અને તેને જીવિત બનાવી દીધી.
માટીમાંથી બનાવેલ બાળકને બંનેએ આદેશ આપ્યો કે તું રમત પર ધ્યાન આપજે અને નિર્ણય કરજે કે કોણ જીત્યું અને કોણ હાર્યુ. રમત શરૂ થઇ જેમાં માતા પાર્વતી વારંવાર ભગવાન શિવને માત આપીને વિજયી બની રહ્યા હતા. રમત ચાલતી રહી પરંતુ એકવાર ભૂલથી બાળકે માતા પાર્વતીને પરાજીત જાહેર કરી દીધા.
બાળકની આ ભૂલે માતા પાર્વતીને ખૂબ જ ક્રોધિત કરી દીધા જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે બાળકને શ્રાપ આપી દીધો અને તે બાળક અપંગ બની ગયું. બાળકે પોતાની ભૂલ માટે માતા પાસે ઘણી ક્ષમા માંગી. ત્યારે માતાએ કહ્યુ કે હવે શ્રાપ તો પાછો ન લઇ શકાય પરંતુ તે એક ઉપાય જણાવી શકે છે જેનાથી શ્રાપ મુક્તિ થઇ શકે છે. માતાએ કહ્યુ કે સંકષ્ટીવાળા દિવસે આ જગ્યા પર કેટલીક કન્યાઓ પૂજા કરવા માટે આવે છે, તમે તેમને વ્રતની વિધિ પૂછજો અને તે વ્રતને સાચા મનથી કરજે.
બાળકે વ્રતની વિધિ જાણીને શ્રદ્ધાપૂર્વક અને વિધિ અનુસાર પૂજા કરી. તેની સાચી આરાધનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને તેની ઇચ્છા પૂછી. બાળકે માતા પાર્વતી અને ભગવાન શિવ પાસે જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. ગણેશે તે બાળકની માંગણીને પૂરી કરી દીધી અને તેને શિવલોક પહોંચાડી દીધું, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યું ત્યારે તે માત્ર ભગવાન શિવને જ મળ્યા.
માતા પાર્વતી ભગવાન શિવથી નારાજ થઇને કૈલાશ છોડીને ચાલ્યા ગયા હતા.. જ્યારે શિવે તે બાળકને પૂછ્યું કે તું અહીં કેવી રીતે આવ્યો તો તેમણે જણાવ્યું કે ગણેશજીની પૂજાથી તેને આ વરદાન પ્રાપ્ત થયું છે. આ જાણ્યા બાદ ભગવાન શિવે પણ પાર્વતીને મનાવવા માટે આ વ્રત કર્યુ ત્યારબાદ માતા પાર્વતી ભગવાન શિવથી પ્રસન્ન થઇને પરત કૈલાસ પરત આવી ગયા. આ રીતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરનારની ગણપતિ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.