વિશ્વનું શહેરીકરણ, સમસ્યાઓનું વૈશ્વિકરણ
અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા
લોસ એન્જલ્સમાં રસ્તા વિશેષ ઢબે રંગવામાં આવે છે. આ તકનિકને કૂલસીલ પેઇન્ટિંગ કહે છે
વિકાસ. આ એવી પરિકલ્પના છે જેની તમે ટીકા કરો તો લોકો તમને કાં તો સમાજવાદી સમજે, કાં ડાબેરી, કાં રૂઢિવાદી. તમે શું કહેવા માગો છો તે કહો તે પહેલા તો લોકો તમે શું હશો એ વિશે અભિપ્રાય બાંધી લે છે. આરસીસીથી ચણાતા મકાન જેવો પાકો અભિપ્રાય. તેમ છતાં તમે જે કહેવા માગો છો તે કહેવાની હિંમત કરવી જોઈએ. એમ વિચારીને કે શક્ય છે તમે જે કહેવા માગો છો તે કોમ્યુનિકેટ થઈ જાય. શક્ય છે કે એક બારી ખુલ્લી હોય જેના થકી તમારી વાત ત્યાં સુધી પહોંચી જાય.
ઘણા માણસો એવા હોય છે જેમને એક ખાડામાંથી બહાર કાઢો તો બીજામાં પડે. જમણેથી ઉગારો તો ડાબી બાજુ ભરાઈ પડે. ગમે તેમ કરો તોય તેમને મધ્યમ ચાલતા આવડે જ નહીં. તે પહેલા ઝનૂની ભક્ત હોય તેમાંથી તેને બહાર લાવો તો ઝનૂની આધુનિક બની જાય. વર્તમાન સમયની સમસ્યા ઝનૂની આધુનિકતાના વંટોળમાંથી જ પેદા થયેલી છે.
જેણે ક્યારેય સંપત્તિ ન ભોગવી હોય તેઓ તેની પાછળ પાગલ થઈ જાય છે. એશિયાનું અત્યારે એવું જ છે. તે એ ભૌતિક સુખમાં આળોટવા માગે છે જે યુરોપ માણી ચૂક્યું છું. નવો બાવો ઝાઝી ભભૂતી લગાવે એવું કંઈક. નવો પૈસાદાર ઝાઝો દેખાડો કરે એવું કંઈક. એશિયાની વિકાસ તરફની આંધળી દોટ અભૂતપૂર્વ સમસ્યાઓનું સર્જન કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રનો એક હેવાલ કહે છે કે પ્રશાંત મહાસાગરની ફરતે આવેલા શહેરોમાં રહેતા લોકોની સંખ્યા ગામડાંમાં રહેતા લોકો કરતા વધી ગઈ છે. કુરિવાજોને અંજલિ આપી દેવી જોઈએ, કિન્તુ સુરીવાજોને પણ? શહેરીકરણની આયોજન વિનાની દોડમાં પરંપરાગત જ્ઞાાન પણ નષ્ટ થતું જાય છે. સાંસ્કૃતિ વિરાસત પણ ખતમ થતી જાય છે.
મલેશિયાના પેનાંગ શહેરમાં યુનેસ્કોની કોન્ફરન્સ યોજાઈ હતી. સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાનો અર્થ કોઈ સ્થળનું રક્ષણ કરવા પૂરતો સીમિત નથી. આર્થિક સિદ્ધાંતો, સામાજિક મૂલ્યો, પરંપરાગત જ્ઞાાનને જાળવવાનો છે. યુનેસ્કોએ જેને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યા છે તેવા ૯૦૦માંથી ૧૯૩ સ્થળો શહેરી વિસ્તારમાં આવેલા છે. કોઈ પણ સ્થળને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું ત્યાં વાર્તા પૂરી નથી થતી, શરૂ થાય છે.
વિકાસ ખરાબ નથી, પણ તમે કોને વિકાસ કહો છો તે સમજવું જોઈએ. અચ્છા આપણે જે વિકાસ ઝંખીએ છીએ તે પ્રાપ્ત કરવામાં કશુંક એવું તો નથી ગુમાવી રહ્યાને કે જે સરવાળે મોંઘું પડે તેય જોવું પડે. વિકાસ સમજપૂર્વકનો હોવો જોઈએ. આપણું દરેક સ્વરૂપે અપલિફ્ટમેન્ટ કરનારો હોવો જોઈએ.
જાકાર્તાની એક થિન્કટેન્કમાં કામ કરતી એલિસા કહે છે, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં અનૌપચારિક વસ્તીઓને વિરાસત માનવામાં આવતી નથી તે ખોટું છે. શહેર ઔપચારિક અને અનૌપચારિક વસ્તીના મળવાથી જ બને છે. શહેરની આસપાસના ગામડાંમાં પણ શહેર જેવો જ વિકાસ કરવો જોઈએ. જેથી ત્યાં વસતા લોકો પ્રોપર સિટીમાં રહેવા ન આવે અને વસ્તી ગીચતાનો પ્રશ્ન ઊભો ન થાય. તકનિકી ભાષામાં આને રુર્બન કહે છે. યાને કે રુરલ-અર્બન.
આધુનિકીકરણ અને સંરક્ષણ બંને સાથેસાથે ચાલવા જોઈએ. આધુનિકીકરણનો ભાગ બનતી વખતે લોકોએ પોતાના ખાનપાન, સંગીત અને પહેરવેશનું પણ જતન કરવું જોઈએ. એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે એકવાર પહેરવેશ લુપ્ત થઈ જશે તો ફરીથી મળશે નહીં.
શહેરોની ગીચતાની મુસીબત આગામી સમયમાં કેવી રીતે ગળું પકડવાની છે તેના પર દૃષ્ટિપાત કરવા જેવો છે. મેક્સિકો સિટીની વસ્તી અત્યારે ૮૮ લાખ છે, જે ૨૦૫૦માં ૨.૪ કરોડની થઈ જશે. ક્યારેય ન ઘોટાતા ન્યુયોર્કની જનસંખ્યા હાલ ૩૪ લાખ છે. ૨૦૫૦ સુધીમાં તે ૨.૪૮ કરોડ થઈ જશે. પાકિસ્તાનના કરાંચી શહેરની વસ્તી ૨૦૫૦માં ૩.૧૭ કરોડ હશે. ટોક્યોની વસ્તી હાલ ૧.૩ કરોડ છે. ૩૧ વર્ષ પછી ૩.૨૬ કરોડ થઈ જશે. આફ્રિકા ખંડમાંથી મોટી સંખ્યામાં લોકો નાઇજિરિયાના સૌથી મોટા શહેર લાગોસમાં રહેવા જઈ રહ્યા છે.
૨૦૫૦ સુધીમાં તેની વસ્તી ૩.૨૬ કરોડ થઈ જશે. જનસંખ્યાની વૃદ્ધિનો સામનો કરતા શહેરોમાં કોલકાતા વિશ્વમાં પાચમા ક્રમે છે. હાલ તેની વસ્તી ૧.૪ કરોડ છે. ભવિષ્યમાં ડબલ થઈ જશે. આફ્રિકાના કોંગો દેશની રાજધાની કિનશાસાની વસ્તી હાલ ૧.૦૧ કરોડ છે. ૨૦૫૦ સુધીમાં ૩.૫ કરોડ થઈ જશે. વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ગીચ શહેર ઢાકાની વસ્તી ૨૦૫૦માં ૩.૫૨ કરોડ હશે. પ્રોપર દિલ્હીની વસ્તી હાલ એક કરોડ છે. ૨૦૫૦ લગીમાં ૩.૬ કરોડ થઈ જશે. માયાનગરી મુંબઈની વસ્તી ૨૦૫૦માં ૪.૨૪ કરોડ હશે.
આગામી સમયમાં વસ્તીને કારણે પ્રદૂષણના પ્રશ્નો વધુ વિકરાળ બનશે. એવામાં પરંપરાગત જીવનશૈલી, સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ તથા ઊર્જાના બિનપ્રણાલિગત સ્રોતોનો ઉપયોગ અત્યંત જરૂરી બની જશે. ગીચ શહેરોને રહેવાલાયક બનાવવા પ્રાચીન અને આધુનિક બંને પ્રકારના જ્ઞાાનનું ક્લબિંગ કરવું પડશે.
કેવા કેવા રસ્તા અપનાવવા પડશે? ૧) છત અને દીવાલો પર સંભવ એટલા છોડ લગાડવા, જેથી તાપમાનમાં મોટો ઉતાર-ચડાવ ન થાય, ધ્વનિ પ્રદૂષણ ન થાય, અતિ પ્રકાશ ન ફેલાય, ધૂળ અને વાયુ પ્રદૂષણ પણ ઓછું થાય. ૨) લોસ એન્જલ્સમાં રસ્તા વિશેષ ઢબે રંગવામાં આવે છે. આ તકનિકને કૂલસીલ પેઇન્ટિંગ કહે છે. તેના કારણે રસ્તા ઓછા ગરમ થાય છે.
વાસ્તવામાં જેટલી ગરમી હોય તેની તુલનાએ કુલસીલ સડકો પર તાપમાન ૬.૬ ડિગ્રી ઓછું રહે છે. ૩) આપણે તડકામાં બહાર નીકળીએ છીએ ત્યારે સનગ્લાસ પહેરીએ છીએ તો ઈમારતોનો શો વાંક? જોક નથી. ખરેખર. આબુધાબીમાં આવું ઓલરેડી થઈ રહ્યું છે. ઇમારતોને પડછાયો આપવા માટે એક સિસ્ટમ લગાડવામાં આવે છે. તે ગોગલની જેમ કામ કરે છે. સૂર્ય પ્રકાશમાં ૨૦ ટકાનો ચારણો મારી દે છે.
૪) ધુમ્મસ અને ભેજનો ઉપયોગ. તેના દ્વારા પારો નીચે લાવી શકાય છે. મોરક્કોમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે. દુબઈ પણ તેનો ઉપયોગ શરૂ કરવાની વેતરણમાં છે. ૫) શહેરોને જેટલા સ્વચ્છ અને લીલાછમ રાખવામાં આવશે તેટલા લોકો ઘરની બહાર નીકળવા પ્રેરિત થશે. ઘરમાં વપરાતી ઊર્જામાં તેટલી બચત કરી શકાશે. બહાર નીકળવાથી લોકોનું સ્વાસ્થ્ય પણ વધારે સારું રહેશે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એક વેધક વિધાન કર્યું. ચીનને તોડવાની કોશિશ કરનારના હાડકાં તોડી નાખવામાં આવશે. હોંગકોંગમાં હાલ સ્વાયત્તતાનું આંદોલન ચાલી રહ્યું છે તે સંદર્ભે તેઓ આવું કહી રહ્યા હતા.
- ભારતીય-અમેરિકી અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીને ૨૦૧૯માં અર્થશાસ્ત્રનો નોબેલ જાહેર કરવામાં આવ્યો છે. તેમને ડેવલોપમેન્ટ ઇકોનોમિક્સમાં સંશોધન બદલ આ સન્માન જાહેર કરાયું છે. જે ફ્રાંસના એસ્થર ડુફ્લો અને અમેરિકાના માઇકલ ક્રેમર સાથે આપવામાં આવશે. તેમના સંશોધનો ગરીબી નિવારણની દિશામાં અત્યંત કારગત નીવડી શકે તેમ છે.
- જાપાનમાં હિગિબિસ ઝંઝાવાથી મરનારા લોકોનો આંકડો ૭૦ સુધી પહોંચ્યો છે. ૧૫ લોકો હજુ પણ લાપતા છે. ૧૨મી ઑક્ટોબરે આ ઝંઝાવાત ત્રાટક્યો હતો. ફલતઃ ભારે વરસાદ થયો હતો અને અનેક નદીઓની સપાટી ભયજનક બની ગઈ હતી.
- અમેરિકાએ દરવાજા બંધ કરી દીધા એટલે બધું બંધ થઈ ગયું એવું નથી. ચીનની વાહવે કંપનીના નફામાં ૨૪.૪ ટકાનો વધારો થયો હતો. તેનો વાર્ષિક નફો ૮૬.૨ અબજ ડોલર નોંધાયો છે.
- અમેરિકાએ યુરોપિયન સંઘને વિજશોક આપ્યો છે. તેના સાડા સાત અબજ ડોલરના સામાન પર ઊંચો આયાત વેરો લગાડી દીધો હતો. ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલા ટ્રેડ વૉરને લીધે વિશ્વમાં મંદીના વાદળ ઘેરાઈ ગયા છે. ભારત અને અમેરિકાનો રક્ષા કારોબાર ૧૮ અબજ ડોલર સુધી પહોંચવાની આશા પેન્ટાગોન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.