Gujarat

યાત્રાધામ શામળાજીના ગડાધર વિષ્ણુ મંદિરે તુલસી વિવાહ ઉજવાશે

By GS Team
14 Nov 20212 mins read
This article was originally published on 14 Nov 2021

મોડાસા,તા.13

કારતક સુદ-૧૧ ને સોમવારના રોજ દેવ ઉઠી એકાદશી પર્વે વૃંદા(તુલસી માતા) સાથેના વિવાહનો ધર્મ પ્રસંગ શ્રધ્ધા- ઉમંગેભર ઉજવાશે.આ ઉજવણી પ્રસંગે ગૃહશાંતિ,શ્રીજી ભગવાનનો વરઘોડો અને લગ્ન વિધીમાં મોટીસંખ્યામાં ભક્તજનો દૂર દૂરથી ઉમટી પડશે. ત્યારે આ ઉજવણીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૃરી તૈયારીઓ હાથ ધરાઈ છે.

અષાઢ સુદ-૧૧ ની  પોઢી ગયેલા ભગવાન શ્રી વિષ્ણુજી કારતક સુદ-૧૧ ને પ્રબોધીની એકાદશી દિને ઉઠશે.આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે આ પવિત્ર પર્વથી ધર્મ સ્થળોએ તુલસી વિવાહનો આરંભ થતો હોય છે. પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતેના ભગવાન ગડાધર વિષ્ણુજીના મંદિરે સોમવારને ૧૫મી નવેમ્બરના રોજ તુલસી વિવાહની  ઉજવણી કરવામાં આવનાર છે.  મંદિર ટ્રસ્ટના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભી અને મેનેજર કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પર્વે ભગવાન શ્રીકૃષ્ણના વૃંદા(તુલસી માતા)સાથેના લગ્નનો ભવ્ય મનોરથ ઉજવવામાં આવનાર છે. અને આ મહિમા પર્વે ગૃહશાંતી,શ્રીજી ભગવાનનો વરઘોડો અને લગ્નવિધી બપોરે ૨.૩૦ થી ૫.૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે.

તુલસી વિવાહના દિવસે દર્શનનો સમય

મંદિર ખુલશે - સવારે ૬ કલાકે,મંગળા આરતી-સવારે  ૬.૪૫ કલાકે,શણગાર આરતી - સવારે ૯.૧૫ કલાકે,મંદિર બંધ રહેશે(રાજભોગ ધરાવવામાં આવશે) - સવારે ૧૧.૩૦ કલાકે,મંદિર ખુલશે(રાજભોગ આરતી)- બપોરે ૧૨.૧૫ કલાકે,મંદિર બંધ થશે(ઠાકોરજી પોઢી જશે)- બપોરે ૧૨.૩૦ કલાકે,ઉત્થાપન- બપોરે ૨.૧૫ કલાક,તુલસી વિવાહ પ્રસંગે ભગવાનનો વરઘોડો- બપોરે ૩ થી ૫ કલાક સુધી, ભગવાનના વિવાહની વિધી - સાંજે ૫ થી ૮ કલાક સુધી,સંધ્યા આરતી - સાંજે ૬.૧૫ કલાકે,શયન આરતી - રાત્રે ૮.૧૫ કલાકે,મંદિર મંગલ(મંદિર બંધ થશે)-રાત્ર ૮.૩૦ કલાકે.