Gujarat

અરવલ્લીના પાંચ વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન ન ફરતા પરિવારજનો ચિંતિત

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
અરવલ્લીના પાંચ વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન ન ફરતા પરિવારજનો ચિંતિત

મોડાસા,તા. 1

રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુધ્ધના છઠ્ઠા દિવસે સ્થિતિ વિસ્ફોટક બની છે. રશિયાની સેનાએ યુક્રેનના કેટલાય શહેરોમાં કબ્જો મેળવ્યો છે, અને પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ આ યુધ્ધમાં થઈ રહયો હોવાના અહેવાલ વચ્ચે અરવલ્લી જિલ્લાનો એકપણ છાત્ર ઘરે નહી પહોંચતા પરિવારજનોમાં ચિંતા છવાઈ છે. અને પોતાનો લાડકો જલદી પરત ફરે અને સરકાર આ કામગીરી ઝડપી બનાવે તેવી માંગ પણ પ્રસરી રહી છે.

અરવલ્લી જિલ્લાના પાંચ છાત્રો તબીબી શિક્ષણના અભ્યાસક્રમ માટે યુક્રેન ગયેલા છે,રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુધ્ધને લઈ આ છાત્રોની સ્થિતિને લઈ પરિવારજનો અને તંત્રમાં પણ ચિંતા પ્રસરી હતી. જોકે હાલ જિલ્લાના દહેગામડાના દિનેશભાઈ પટેલનો પુત્ર કુલદીપ યેનકેન પ્રકારે યુક્રેન બોર્ડર પાસ કરી છેક રોમાનીયા એરપોર્ટ નજીક પહોંચ્યો છે,અને તેની સાથેના સહઅધ્યાયીઓ અને અન્ય નાગરિકોને એરપોર્ટ નજીકના એક ટેન્ટમાં રાખવામાં આવ્યા છે.હવે રોમાનીયા એમ્બેસી ભારત સરકારનો સંપર્ક કરી આ છાત્રોના પાસપોર્ટ ઉપર સહિ સીક્કા કર્યા બાદ વિમાન માર્ગે એક બે દિવસમાં ભારત રવાના કરશે એમ કુલદીપે રોમાનીયા ખાતેના શેલ્ટર હાઉસમાંથી જણાવ્યું હતું.

મોડાસાના ઝુલ્ફીકારહુસેન દાદુનો પુત્ર લુકમાન હાલ પોલેન્ડ બોર્ડર પાસ કરી રહયો છે તેમ જણાવ્યું હતું. અને હાલ ખાર્કીય થી પોલેન્ડ બોર્ડરે પહોંચવા ટ્રેન ચાલુ હોઈ જે કોઈ ફસાયા છે તેના પરિવારજનોએ તેમના છાત્રોને આ ટ્રેનનો ઉપયોગ કરે તેમ જણાવવા લુકમાને અપીલ કરી હતી. યુધ્ધના ૬ દિવસમાં ૭ ફલાઈટમાં કેટલાય છાત્રો  વતન પરત ફર્યા છે,પરંતુ અરવલ્લીનો એકપણ છાત્ર હજુ ઘરે કે દેશમાં આવ્યો નથી અને તેમના લોકેશન અંગે તંત્રને જાણ નથી. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીના ના જણાવ્યા મુજબ હજુ જિલ્લાનો કોઈ છાત્ર પરત આવ્યો નથી,

પરંતુ તંત્ર દ્વારા આ છાત્રોના પરિવારજનો ઓપરેશન ગંગા અંગે માહિતગાર કરી જરૃરી માર્ગદર્શન અપાઈ રહયું છે.