Gujarat

અરવલ્લીમાં રોજના કોરોનાના સરેરાશ ત્રણ કેસ : 20 દિવસમાં 60 કેસ

By GS Team
21 Jun 20202 mins read
This article was originally published on 21 Jun 2020
અરવલ્લીમાં રોજના કોરોનાના સરેરાશ ત્રણ કેસ : 20 દિવસમાં 60 કેસ

મોડાસા,તા.20  જૂન, 2020, શનિવાર

અરવલ્લી જિલ્લામાં અનલોક-૦૧ ની સ્થિતિના છેલ્લા ૨૦ દિવસોમાં જ  ૬૦ પાઝિટિવ કેસ નોંધાયા છે. આ દિવસોમાં કોરોના પોઝીટીવ ૦૯ વધુ દર્દીઓના મોત નીપજતાં અગાઉ ૦૫ દર્દીઓના મરણના આંક સામે છેલ્લા ૨૦ દિવસોમાં જ કોરોનાગ્રસ્ત ૦૯ દર્દીના મોત સાથે કુલ મરણનો આંક ૧૪ દર્દીએ પહોંચ્યો છે.આમ જિલ્લામાં લોકડાઉન ૪ દરમ્યાન બાદ લોકડાઉન ૦૫ એટલે કે અનલોક-૦૧ ની સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ હદે વકર્યું છે.ત્યરે તંત્ર એ હવે જિલ્લામાં વધતા જતાં પોઝીટીવ કેસો અને મોતના વધતા પ્રમાણને ગંભીરતા થી લઈ યોગ્ય પગલા,સર્વેક્ષણ અને અદ્યતન સાધન,સારવાર ઉભી કરવાની તાતી જરૂરીયાત વર્તાય છે.

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી વ્યાપી છે.ત્યારે આ વાયરસનું સંક્રમણ દેશ,રાજય અને જિલ્લામાં પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં વકરી રહયું છે.લોકડાઉનના પ્રથમ રાઉન્ડના ૨૧ દિવસ દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણ સામે જિલ્લો સંપૂર્ણ સુરક્ષિત રહયો હતો. પરંતુ આ લોકડાઉન પૂર્ણ થતાં જ સલામત ગણાતા જિલ્લામાં આવવા ટાંપીને બેઠેલા ૧૦ હજારથી વધુ સંખ્યામાં જિલ્લાના વતનીઓ મુંબઈ, પૂના, દિલ્હી, અમદાવાદ અને વડોદરા સહીતના શહેરો માંથી અરવલ્લીમાં આવી પહોંચ્યા હતા.અને લોકડાઉન ના બીજા રાઉન્ડના ૧૯ દિવસમાં ૨૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા અને   જિલ્લામાં પ્રવેશેલો કોરોના વાયરસ એવો વકર્યો કે ટ્રાવેલ હિસ્ટ્રી કરતા લોકલ સંક્રમણ હદ બહાર પ્રસર્યું અને જિલ્લામાં લોકલ સંક્રમણ ને લઈ સૌથી વધુ પોઝીટીવ કેસ મોડાસા નગરમાં નોધાયા. જિલ્લામાં પ્રથમ પોઝીટીવ નોંધાયેલા ૭૦ વર્ષિય વૃધ્ધાના કેસમાં દર્દીનું બે દિવસમાં મરણ થયું હતું.પછી તો ૪ લોકડાઉનના ૬૮ દિવસો દરમ્યાન જિલ્લામાં પોઝીટીવ ૧૧૮ કેસ નોંધાયા જે પૈકી ૦૫ દર્દીઓના મોત પણ નીપજયા હતા.હવે આજે અનલોક- ૦૧ ની સ્થિતિના ૨૦ દિવસોમાં કોરોના પોઝીટીવ ના ૬૦ વધુ કેસો નોંધાયા છે. જયારે આ ૨૦ દિવસોમાં વધુ ૦૯ દર્દીઓના મોત નીપજયા છે.આમ લોકડાઉનના ૬૮ દિવસમાં ૧૧૮ પોઝીટીવ કેસો સામે માત્ર ૦૫ દર્દીઓના મોત નીપજયા હતા.ત્યારે માત્ર અનલોક-૦૧ ની છુટછાટ ભરી સ્થિતિમાં જરૂરી તકેદારીના અભાવ વચ્ચે ૨૦ દિવસમાં ૬૦ કેસો પૈકી ૦૯ દર્દીઓના મોત નીપજતાં આ અનલોક ની સ્થિતિમાં જિલ્લામાં વધુ ગંભીર પરીણામ જોવા મળી રહયા છે.ત્યારે આ વધુ  સંક્રમણ ના દિવસોમાં સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક,સેનેટાઈઝેશન નો જરૂરી વપરાશ,તકેદારી રખાય અને તંત્ર દ્વારા પણ વધતા પોઝીટીવ કેસો અને મોતના પ્રમાણને ગંભીરતા થી લઈ યોગ્ય પગલા ભરાય તેવી માંગ ઉઠી છે.