સારોલથી બોરસદના રૂટ ઉપર બસો દોડાવવા વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા
- શાળા-કોલેજોના સમયે નિયમિત બસ સુવિદ્યા આપવાની માંગ
વલ્લભવિદ્યાનગર : શાળા-કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓની દૈનિક સંખ્યામાં વધારો થયો છે. બોરસદ તાલુકાના સારોલ ગામથી બોરસદ જવા માટે એસટી બસના રૂટો નિયમિત ન હોવાના મુદ્દે આજે વિદ્યાર્થીઓએ ભાદરણ ડેપો ખાતે ભારે સુત્રોચ્ચાર કરીને બોરસદ ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને તત્કાલિન રાહે બસના રૂટો શરૂ કરવા માંગ કરી છે. જેમાં શાળા-કોલેજમાં જવા સવારે ૯.૦૦ કલાક અને સાંજે ૪.૩૦ કલાકના રૂટની બસના શીડયુઅલ ચાલુ કરવા માંગ કરી છે.
તાલુકા મથક બોરસદથી અન્ય અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને જોડતા ગામોમાં એસટી બસની સુવિદ્યાના મુદ્દે ભારે દુર્લક્ષ સેવવામા આવી રહ્યુ હોવાની બુમો ઉઠવા પામી છે. સમયાંતરે રજુઆત કરવા છતાં પણ બસોના રૂટો શીડયુઅલ મુજબ દોડાવવામા આવતા નથી. ત્યારે હાલમા શાળા-કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓને એસટી મુસાફરીની સુવિદ્યા છીનવાઇ છે. જેથી સારોલ ગ્રામ પંચાયતના સરપંચે ડેપો મેનેજર બોરસદને રજુઆત કરીને નિયમિત બસો દોડાવવાની માંગ કરી છે. જયારે બીજી તરફ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી રજુઆત કરતા હોવા છતાં ઉકેલ નહી આવતા આજે વિદ્યાર્થીઓએ આજે ભાદરણ ડેપોમા સુત્રોચ્ચાર કરીને બોરસદ ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને ઘટતુ કરવાની માંગ કરી છે.