પેટલાદના સિંહોલમાં અનાજ વગે કરતો સસ્તા અનાજની દુકાનનો સંચાલક પકડાયો
- લોકડાઉનના દિવસોમાં ગોલમાલ પકડાઈ
- ગ્રામજનોએ જ અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો જપ્ત કરી પોલીસને સોંપતા સંચાલક વિરૃધ્ધ ગુનો નોંધાયો
આણંદ, તા.23 મે 2020, શનિવાર
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિંહોલ ગામે સસ્તા અનાજની દુકાનનો સંચાલક ગરીબોના હક્કનું અનાજ સગેવગે કરવા જતા ગ્રામજનોના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ગ્રામજનોએ અનાજ ભરેલ છોટા હાથી ટેમ્પો સાથે સંચાલકને ઝડપી પાડી મહેળાવ પોલીસના હવાલે કરતા પોલીસે સસ્તા અનાજનો જથ્થો કબ્જે કરી આ અંગે મામલતદાર તેમજ પુરવઠા વિભાગને જાણ કરતા મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરૃધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને જરૃરીયાતમંદ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે આણંદ જિલ્લામાં આવા કોરોનાના કપરાં કાળમાં પણ કેટલાક સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા કટકી-બટકીના ખેલ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. આવો જ એક કિસ્સો ગતરોજ પેટલાદ ખાતે બનવા પામ્યો છે. પેટલાદ તાલુકાના સિંહોલ ગામે આવેલ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા ગરીબોને વિનામૂલ્યે વિતરણ કરવા માટે આવેલ ઘઉંના જથ્થામાંથી કેટલોક જથ્થો ગત રાત્રિના સુમારે અંધકારનો લાભ લઈ એક છોટા હાથી ટેમ્પામાં ભરી સગેવગે કરવામાં આવી રહ્યો હતો. દરમ્યાન ગ્રામજનોને આ વાતની ગંધ આવી જતા શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ ગ્રાહક ભંડાર ખાતેથી અનાજ ભરેલો ટેમ્પો બહાર નીકળતાની સાથે જ ગ્રામજનોએ છોટાહાથી ટેમ્પાને અટકાવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. બાદમાં ગ્રામજનોએ આ અંગે મહેળાવ પોલીસને જાણ કરતા મહેળાવ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ૪૫ બોરી ઘઉં ભરેલ ટેમ્પો કબ્જે લીધો હતો. બાદમાં પોલીસે આ અંગે મામલતદાર તથા પુરવઠા વિભાગને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે સિંહોલ ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રાત્રિના અંધકારનો લાભ લઈ અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ગ્રામજનોની જાગૃતતાને લઈ આ કૌભાંડ બહાર આવ્યું છે. હાલમાં પુરવઠા વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે અને અનાજનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સાથે સાથે દુકાનના સંચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.