નાયબ કલેકટરે ખંભાત અને ઉંદેલના ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક કરી
- આગામી ધાર્મિક્ તહેવારોના અનુસંધાને
આણંદ, તા.26 જુલાઈ 2020, રવિવાર
ચાલુ માસમાં ચાલી રહેલ શ્રાવણ માસ અને આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોને ધ્યાને લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો/ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત રાખવાના હેતુસર જિલ્લા કલેક્ટરના સૂચનને અનુલક્ષીને નાયબ કલેક્ટરે ખંભાત અને ઉંદેલ ખાતે ધાર્મિક સ્થળોના વડાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી.
નાયબ કલેક્ટરે વડાઓ અને આગેવાનોને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ એસઓપીનું ચુસ્તપણે પાલન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. નાયબ કલેક્ટરે બેઠકમાં ધાર્મિક સ્થળો/ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ ગાઈડ મુજબ પ્રવેશ દ્વારા ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સાબુ પાણી અથવા સેનેટાઈઝર અને થર્મલ સ્ક્રીનીંગ વ્યવસ્થા ગોઠવવી, માસ્ક પહેરેલ વ્યક્તિને જ પ્રવેશ આપવો, ધાર્મિક સ્થળના પરિસરની અંદર કે બહાર સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન થાય તેની કાળજી રાખવી, પરિસરમાં મોટા પ્રમાણમાં સમૂહ એકત્ર ન થાય કે સભા, સત્સંગ જેવા સામુહિક કાર્યો ન કરવા જેવી બાબતોની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આ બાબતે નાગરિકોમાં જનજાગૃતિ આવે તે માટે નાગરિકોને અપીલ કરવા પણ જણાવાયું હતું.આ બેઠકમાં ખંભાતના ડીવાયએસપી તેમજ ખંભાત શહેર અને ગ્રામ્યના પી.આઈ. અને પી.એસ.આઈ. તથા ધાર્મિક સંસ્થાના વડાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.