ઉમરેઠના શીલી ગામ પાસે મહીસાગર નદીમાંથી અજાણ્યા આઘેડની લાશ મળી
- ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ પહોંચી : લોકોનાં ટોળેટોળાં ભેગા થયા
આણંદ, તા.26 જૂન 2020, શુક્રવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદી પાસેથી ગઈકાલ રાત્રિના સુમારે એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી મૃતકના વાલી-વારસોની સઘન શોધખોળ આરંભી છે.
ઉમરેઠ તાલુકાના શીલી ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદી પાસે પાણીમાં કોઈ અજાણ્યા શખ્શનો મૃતદેહ તરતો હોવાનું લોકનજરે ચઢ્યું હતું. થોડી જ ક્ષણોમાં આસપાસમાં રહેતા લોકો કુતુહલવશ ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા ખંભોળજ પોલીસની ટીમ પણ મહીસાગર નદીના તટ ખાતે પહોંચી હતી. બાદમાં આજે સવારના સુમારે સ્થાનિકોની મદદ લઈ પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જો કે આ મૃતદેહ છેલ્લા કેટલાક દિવસથી પાણીમાં પડી રહેલ હોઈ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. હાલ તો ખંભોળજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. બીજી તરફ ખંભોળજ પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ નોંધી મરણ જનારની ઓળખ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.