Get The App

આણંદના યુવાનની હત્યા કરનારા બંને આરોપીની અટક કરી રિમાન્ડની તજવીજ

- પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી ઢીમ ઢાળ્યું હતું

- યુવાન તેમજ બંને આરોપીએ નિર્જન જગ્યા પર દારૃની પાર્ટી કર્યા બાદ ઝઘડો થતાં ઢોર માર મારી પતાવી દીધો

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
આણંદના યુવાનની હત્યા કરનારા બંને આરોપીની અટક કરી રિમાન્ડની તજવીજ 1 - image


આણંદ, તા.3 જૂન 2020, બુધવાર

આણંદ શહેરમાં સલાટીયા વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર પાછળ રહેતા યુવાનનો બે દિવસ પૂર્વે મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસની તપાસમાં પત્ની સાથે આડા સંબંધ ધરાવતો હોવાનો વહેમ રાખી આ યુવકની હત્યા કરાઈ હોવાનું જાણવા મળતા આ મામલે ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં બે વ્યક્તિઓને ઝડપી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

શહેરના સલાટીયા વિસ્તારમાં ભાથીજી મંદિર પાછળ રહેતા શૈલેષભાઈ ઠાકોર મોટરસાયકલ સાથે ગુમ થયા બાદ ગત તા.૧લીને સોમવારના રોજ લાંભવેલ રોડ ઉપર આવેલા ખેતીવાડી સંકુલ નજીકથી તેઓનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહ તેમજ મોટરસાયકલ કબ્જે લઈ અકસ્માતે મોતની નોંધ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતા શૈલેષભાઈ ઠાકોરને માથા, છાતી તેમજ ગુપ્ત ભાગે માર મારવાના કારણે હેમરેજ થઈ જવાથી મોત નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે શૈલેષભાઈના પિતા કાન્તિભાઈ ઠાકોરની ફરિયાદના આધારે કીરીટભાઈ રાવજીભાઈ ઠાકોર (રે.ક્રિષ્ના પાર્ક સોસાયટી, ડી.ઝેડ. હાઈસ્કુલ નજીક, આણંદ) તેમજ મહેન્દ્રભાઈ ભીખાભાઈ તડવી વિરૃધ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસની ટીમે કીરીટભાઈ અને મહેન્દ્રભાઈના ઘરે છાપાઓ મારી બંને શખ્શોને ઝડપી પાડયા હતા. પકડાયેલ બંને શખ્શોને પોલીસે અટકમાં લઈ પુછપરછ હાથ ધરતા કીરીટભાઈએ જણાવ્યું હતું કે તેઓ અને શૈલેષભાઈ બંને હાલ જીઆઈડીસીમાં સાથે નોકરી કરે છે અને અગાઉ પણ સરદારગંજમાં આવેલ એક દુકાનમાં સાથે જ નોકરી કરતા હોઈ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જેથી અવાર-નવાર એકબીજાના ઘરે અવર-જવર કરતા હતા. દરમ્યાન શૈલેષને કીરીટભાઈની પત્ની અનિતા સાથે આડો સંબંધ બંધાયો હતો અને તેની જાણ બંનેના પરિવારજનોને પણ થઈ ગઈ હતી. જેને લઈને ઝઘડાઓ શરૃ થઈ જવા પામ્યા હતા. ગત તા.૩૦મીના રોજ કીરીટભાઈ પોતાના મિત્ર મહેન્દ્રભાઈ સાથે શૈલેષને મળ્યા હતા અને બાદમાં આ ત્રણેય શખ્શો બાકરોલ રોડ ઉપર રહેતા રંજનબેન પરમારને ત્યાં ગયા હતા. બાદમાં રાત્રિના સુમારે ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલ ખેતીવાડી સંકુલ નજીક નિર્જન જગ્યામાં ત્રણેય દારૃ પીધો હતો અને ત્યારબાદ કીરીટભાઈ અને શૈલેષભાઈને આડા સંબંધો બાબતે ઝઘડો થતા ઈંટો, લાકડાના ડંડા તેમજ લાતોથી માર મારતા ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું કીરીટભાઈ તથા મહેન્દ્રભાઈએ જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Tags :