ધુળેટા ગામ પાસે પસાર થતી મહિ સિંચાઈ વિભાગની કેનાલમાં ઝંપલાવી આધેડનો આપઘાત
- લીંગડાની કેનાલમાં માતા-પુત્રની શોધખોળ
- ફાયર બ્રિગેડની ટીમોએ વૃધ્ધની શોધખોળ શરૂ કરી ઘટનાને પગલે લોકોના ટોળાં એકત્ર થયા
આણંદ,તા. 02 એપ્રિલ 2020, ગુરુવાર
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નજીક આવેલ લીંગડા ગામની નહેરમાં ગઈકાલે માતા-પુત્રએ ઝંપલાવી આયખુ ટુંકાવ્યું હોવાના બનાવની યાદ હજી તાજી છે ત્યાં ધુળેટા ગામ નજીકથી પસાર થતી મહી સિંચાઈ વિભાગની કેનાલમાં આજે ૬૫ વર્ષીય એક વૃધ્ધે પડતુ મુકતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસ તથા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલના પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ તાલુકા મથક ઉમરેઠ નજીક લીંગડા ગામ પાસે આવેલ નહેરમાં ગઈકાલે રાહતલાવની એક પરિણીતાએ પોતાના પુત્ર સાથે ઝંપલાવ્યું હતું. નહેર પાસે એક્ટીવા તથા મહિલા અને બાળકના ચપ્પલ મળી આવતા ગામના સરપંચને જાણ થતા તેઓ નહેર ખાતે દોડી ગયા હતા.
દરમ્યાન વધુ તપાસ કરતા રાહતલાવ ગામના હેતલબેને પોતાના પુત્ર સાથે નહેરના પાણીમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આણંદ ફાયરબ્રિગેડ વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તેઓની શોધખોળ આરંભી હતી. દરમ્યાન આજે સવારના સુમારે મેઘવા ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાંથી માતા-પુત્ર બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ઘટનાની યાદ હજી તાજી છે ત્યાં આજે સવારના સુમારે ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં એક ૬૫ વર્ષીય વૃધ્ધે પડતું મુકતા આસપાસના રહીશો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ધુળેટા ગામના બાજીપુરા પાસેથી પસાર થતી મહી કેનાલમાં ૬૫ વર્ષીય વૃધ્ધે પડતુ મુકતા ઉમરેઠ પોલીસ તથા ફાયર વિભાગની ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નહેરના ઉંડા પાણીમાં ૬૫ વર્ષીય વૃધ્ધની શોધખોળ આરંભી હતી. કેનાલમાં પાણી વધુ હોવાના અને પ્રવાહ વધુ હોઈ ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.