- શિવાલયોમાં અનુષ્ઠાન, હવન, પુજન, મહાપ્રસાદીનુ આયોજન
- શ્રદ્ધાળુઓ શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પી, પંચામૃતાભિષેક કરી, શિવકૃપાની આરાધના કરશે
પ્રત્યેક વર્ષે મહાવદ ચૌદસે ઉજવાતા મહાશિવરાત્રી પર્વની આણંદ જિલ્લામાં શ્રદ્ધા,ભક્તિ અને ઉમંગભાવ પૂર્વક ઉજવણી કરાશે. મહાદેવાલયોમાં સવારથી જ ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડશે. જેમાં આણંદના જાગનાથ, લોટેશ્વર, પાર્વતેશ્વર, ધર્મેશ્વર, વિદ્યાનગરના ઓમકારેશ્વર, કરમસદના બાપેશ્વર, પેટલાદ,જીટોડિયાના વૈજનાથ મહાદેવ, ઉમરેઠના વૈજનાથ-બિલેશ્વર, વલેટવાના પારદેશ્વર, ખંભાતના પતંગેશ્વર મહાદેવ તેમજ વાસદ, વ્હેરાખાડી, શીલી, ઉમેટા, ખંભોળજ મહીતીર્થ તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ બિરાજમાન મહાદેવના મંદિરોમાં લઘુરૂદ્રી,મહારૂદ્રી, શિવમહિન્મં સ્ત્રોત ઉપરાંત ગંભીર બિમારી ધરાવતા કે મૃત્યુના બિછાને પડેલા દર્દીના પરિવારજનો દ્વારા મૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંંજયના પાઠોનુ આયોજન કરાશે. આસ્થાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ કરી જલાભિષેક, દુગ્ધાભિષેક, સુંગધિત દ્વવ્યોના અભિષેક થકી પરિવારની કુશળતાની કામના સાથે જીવનના ત્રિવીધ તાપોથી મુક્તિ, વિશ્વને કોરોનાથી મુક્ત કરવાની કામના કરાશે. ભક્તો દ્વારા શકકરિયા બટાટાનો ફળાહાર કરીને શ્રદ્ધાભાવ વ્યક્ત કરાશે. કેટલાક મંદિરોમાં વિશેષ અનુષ્ઠાન, હવન, પુજન, મહાપ્રસાદીનુ આચયોજન કરાયુ છે. તો સાથોસાથ શિવજીને પ્રિય ભાંગની પ્રસાદી વિના પર્વનુ મહાત્મ્ય અધુરૂ રહેતુ હોઇ રહીશો ભાંગની પ્રસાદી ગ્રહણ કરીને કૃતકૃત્ય થયાની અનુભૂતિ માણશે.


