આજથી ખેડા-આણંદના 1400 થી વધુ એસટી કર્મચારીઓનું આંદોલન
- 23 જેટલા પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવતા નિર્ણય
- 15 મી જૂને રક્તથી મુખ્યમંત્રીને પત્ર લખાશે અને ઉકેલ નહીં આવે તો 17 મી જૂનથી એસટીના પૈડાં થંભી જશે
મળતી માહિતી મુજબ એસ.ટી. નિગમના કર્મચારીઓના વિવિધ ૨૩ જેટલા પડતર પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ આવ્યું નથી. તાજેતરમાં વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં લેખિત સમાધાન થયા બાદ પણ પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા આખરે એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. એસ.ટી. કર્મચારીના વિવિધ મંડળો દ્વારા તા. ૯ થી ૧૮ જુન સુધી આંદોલન કરવામાં આવનાર છે. નિગમના ત્રણેય કર્મચારીઓ યુનિયનો આ આંદોલનમાં જોડાશે. આણંદ ખેડા જિલલાના એસ.ટી. નિગમના આશરે ૧૪૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપી વિરોધ પ્રદર્શિત કરાશે. વિરોધ પ્રદર્શન અંતર્ગત તા. ૯ અને ૧૦મી જૂનના રોજ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે ત્યારબાદ ૧૧મી અને ૧૨મી જુનના રોજ યુનિફોર્મના બદલે સાદા કપડામાં ફરજ બજાવી વિરોધ કરાશે. તા. ૧૩મી અને ૧૪મી જુનના રોજ સૂત્રોચ્ચાર સાથે સોશિયલ મિડીયામાં પણ વિરોધ પ્રદર્શન કરાશે. તા. ૧૫મી જુનના રોજ એસ.ટી.ના કર્મચારીઓ મુખ્યમંત્રીને ઉદ્દેશીને રક્તથી પોસ્ટકાર્ડ લખશે. આ સમગ્ર આંદોલન દરમ્યાન સરકાર તરફથી જો કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો તા. ૧૭મી જુનના રોજથી એસ.ટી. બસોના પૈડાં થંભાવી દેવામાં આવશે.
એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદત માટે માસ સી.એલ. પર ઉતરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાના કપરા કાળ બાદ માંડ ધીમે ધીમે એસ.ટી. બસો રાબેતા મુજબ થઈ છે ત્યાં કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવતા આગામી સમયમાં મુસાફરોની તકલીફ વધશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.