પેટલાદના અગાસ ગામે થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદ
- નાણાંની ઉઘરાણી બાબતે તકરાર થતા નિંદ્રાધીન કૌટુંબિક ભાઈ ઉપર કુહાડીના ઘા માર્યા હતાં
આણંદ : પેટલાદ તાલુકાના અગાસ ગામે થયેલી હત્યાના આરોપીને આણંદની કોર્ટે આજીવન કેદની સજા નો હૂકમ કર્યો હતો. આ ઉપરાંત રૂા.૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
બનાવની વિગત એવી છે કે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામે નંદનપુરા ખાતે રહેતા સંજયભાઈ નાનજીભાઈ વાળંદે તા.૧૯-૪-૨૦૨૧ના રોજ નાણાંની ઉઘરાણી બાબતે અગાસ ગામના પ્રજાપતિ વાસ ખાતે રહેતા પોતાના કૌટુંબિક ભાઈ દિનેશભાઈ વાળંદ સાથે તકરાર થઇ હતી. ત્યાર બાદ રાત્રિના સુમારે સુઈ રહેલા દિનેશભાઈ ઉપર કુહાડી વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી. આ બનાવમાં આણંદની કોર્ટે સંજયભાઈ નાનજીભાઈ વાળંદને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૨૦ હજારનો દંડનો હુકમ કર્યો હતો.