Get The App

ખંભાતના રાલજ ગામે ઉભરાતી ગટરોનો પ્રશ્ન ગામલોકો માટે માથાનો દુઃખાવો બન્યો

Updated: Oct 10th, 2022

GS TEAM

Google News
Google News
ખંભાતના રાલજ ગામે ઉભરાતી ગટરોનો પ્રશ્ન ગામલોકો માટે માથાનો દુઃખાવો બન્યો 1 - image

- વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

- જાહેર માર્ગો ઉપર ગટરના ગંદા પાણી રેલાતા આ વિસ્તાર નર્કાગારમાં ફેરવાઈ ગયો 

આણંદ : ખંભાત તાલુકાના રાલજ ગામે ઉભરાતી ગટરોનો પ્રશ્ન સ્થાનિકો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા વખતોવખત ગ્રામ પંચાયતોમાં લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. દિવાળી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ લક્ષ ન અપાતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

વધુમાં મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના રાલેજ ગામે જાહેર રસ્તાઓ ઉપર છેલ્લા ઘણાં સમયથી ઉભરાતી ગટરોનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જેને લઈ અત્રેથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉભરાતી ગટરોને કારણે આ વિસ્તારમાં દુર્ગંધ મારવાની સાથે જાહેર માર્ગો ઉપર ગટરના ગંદા પાણી રેલાતા આ વિસ્તાર નર્કાગારમાં ફેરવાઈ જવા પામ્યો છે. આ અંગે રાલજ ગ્રામ પંચાયતમાં સ્થાનિકો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પરિમાણ શૂન્ય રહેવા પામ્યું છે.

બીજી તરફ જાહેર માર્ગ ઉપર ગટરના ગંદા પાણી રેલાવાના કારણે સમગ્ર વિસ્તાર નર્કાગાર અવસ્થામાં ફેરવાઈ જવા સાથે આસપાસના વિસ્તારમાં પીવાનું પાણી પણ દુષિત આવી રહ્યું હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. રાલજ ગ્રામ પંચાયતમાં આ અંગે અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકના નઘરોળ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ કામકાજ અંગે કોઈ જ લક્ષ ન અપાતા સ્થાનિકોમાં પંચાયતની કામગીરી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.