Get The App

આંકલાવ તાલુકાના ગંભીરા ગામે નજીવી બાબતે 4 શખ્સોનો મહિલા પર હુમલો

- વાસીદું ઉકરડામાં નાખવા બાબતે તકરાર

- મહિલાને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડતા તમામ સામે ફરિયાદ નોંધાઈ

Updated: Mar 9th, 2021

GS TEAM


Google News
Google News
આંકલાવ તાલુકાના ગંભીરા ગામે નજીવી બાબતે 4 શખ્સોનો મહિલા પર હુમલો 1 - image


આણંદ : આંકલાવ તાલુકાના ગંભીરા ગામે વાસીદું ઉકરડામાં નાખવા બાબતે થયેલ બોલાચાલીમાં ચાર વ્યક્તિઓએ ભેગા મળી એક મહિલાને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ આંકલાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે હુમલો કરનાર ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના ગંભીરા ગામે સિકોત્તર માતાના મંદિર પાસે રહેતા લલિતાબેન ગણપતભાઈ પરમાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રવિવારના રોજ સવારે વાસીદું ભરીને નજીકમાં આવેલ ઉકરડામાં નાખવા માટે ગયા હતા. દરમ્યાન નજીકમાં ઉભેલ સાલમભાઈ કાનજીભાઈ પઢિયારે મારી ઉપર ઉકરડાના છાંટા ઉડયા છે તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. દરમ્યાન રાજેશભાઈ પઢિયારે ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી લાકડી લઈ આવી લલિતાબેન પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં જશોદાબેન તથા કમલેશભાઈ પણ ત્યાં આવી ચઢ્યા હતા અને લલિતાબેનના વાળ પકડી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે આંકલાવ પોલીસે લલિતાબેન ગણપતભાઈ પરમારની ફરિયાદના આધારે સાલમભાઈ કાનજીભાઈ પઢિયાર, રાજેશભાઈ સાલમભાઈ પઢિયાર, જશોદાબેન સાલમભાઈ પઢિયાર અને કમલેશભાઈ સાલમભાઈ પઢિયાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :