હોળી- ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને આણંદ જિલ્લામાં હથિયારબંધી જાહેર
- 10 માર્ચ સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો પ્રતિબંધ
આણંદ,તા. 07 માર્ચ 2020, શનિવાર
આણંદ જિલ્લામાં આગામી તા.૯ તેમજ ૧૦ માર્ચના રોજ હોળી તેમજ ધુળેટીનો તહેવાર આવતો હોઈ તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોરે સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) હેઠળ તા.૦૭-૦૩-૨૦૨૦ થી તા.૧૦-૦૩-૨૦૨૦ સુધી સમગ્ર આણંદ જિલ્લામાં હથિયારબંધી ફરમાવવામાં આવેલ છે.
તદ્નુસાર, આ સમયગાળા દરમ્યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ ક્ષયકારી પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા, બતાવવા કે તેનો ફેલાવો કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા જેની ફરજ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, જિલ્લા પોલીસ વડા કે તેમણે અધિકૃત કરેલ કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેવુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.