આણંદ જિલ્લામાં 2237 પ્રવાસીઓનું ફોલોઅપ : 1436નું ઓબ્ઝર્વેશન પૂરું થયું
- વૈશ્વિક મહામારીના કપરા દિવસોમાં
- હજી 801 પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ : 29 દર્દીઓના ફ્લુ અને કોરોનાના રિપોર્ટ નેગેટિવ
આણંદ,તા.28 માર્ચ 2020, શનિવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોલોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થાય છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
તદ્અનુસાર જિલ્લામાં તા.૨૬/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૨૨૩૪ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તા.૨૭-૩-૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ ૦૩ પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૨૨૩૭ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૪૩૬ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૮૦૧ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે તા.૨૬/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં ૨૫ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા.
તેમાં તા.૨૬/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા.૨૭/૩/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ચાર દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૨૯ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ જણાવ્યું છે. આજે નોવલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને જિલ્લાના ૩૬૫૦૨૮ ઘરોની મુલાકાત લઈને કુલ ૧૮૨૨૧૦૮ વસ્તી આવરી લેવામાં આવી હતી. જેમાં સામાન્ય શરદી ખાસી વાળા કુલ ૭૪૯૬ દર્દીઓને સ્થળ ઉપર જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.