Get The App

આણંદની અમૂલ ડેરીના નિયામકની ચૂંટણી આગામી તા. 29 ઓગષ્ટે યોજાશે

- 13મી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

- ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા ભાજપ-કોંગ્રેસ સહિત ભારતીય કિસાન સંઘે જંગમાં ઝંપલાવવા કમરકસી

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
આણંદની અમૂલ ડેરીના નિયામકની ચૂંટણી આગામી તા. 29 ઓગષ્ટે યોજાશે 1 - image


આણંદ,તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંગે જાહેરનામુ પ્રસિધ્ધ થતા આગામી તા.૨૯ ઓગષ્ટના રોજ અમૂલની ચૂંટણી યોજાનાર હોઈ સહકારી મંડળીઓના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમૂલની ખુરશી હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ પક્ષ દ્વારા અવનવા પેંતરા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ભારતીય કિસાન યુનિયન પણ આ ચૂંટણીમાં ઝંપલાવવા કમર કસી રહ્યું છે.

આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ છેલ્લા એક માસથી ગતિવિધિઓ તેજ થઈ જવા પામી છે. જે અંતર્ગત મતદાર યાદીની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે. આગામી તા.૨૯ ઓગષ્ટના રોજ અમૂલના નિયામક મંડળની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની ૧૨૧૪ જેટલી મંડળીના સભ્યો મતદાનમાં ભાગ લેશે. સવારના ૯-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક દરમ્યાન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 


અમૂલની ચૂંટણી માટે ઉમેદવારો તા.૬ ઓગષ્ટ સુધીમાં ઉમેદવારીપત્રો મેળવી તા.૧૩ ઓગષ્ટ બપોરના ૩ઃ૦૦ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. તા.૧૩ ઓગષ્ટના રોજ બપોરના ૩ઃ૦૦ વાગ્યા બાદ ઉમેદવારીપત્રો પ્રસિધ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ તા.૧૪ ઓગષ્ટના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. ચકાસણીનું કામ પૂર્ણ થયા બાદ ફાઈનલ ઉમેદવાર યાદી પ્રસિધ્ધ કરાશે.

તા.૧૮ ઓગષ્ટના બપોરના ૩ઃ૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે ત્યારબાદ ફાઈનલ યાદી જાહેર કરાશે અને તા.૨૯ ઓગષ્ટના રોજ અમૂલ ડેરી ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બાદમાં તા.૩૧ ઓગષ્ટના રોજ અમૂલ ડેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જો કે અમૂલના એક ડીરેક્ટર દ્વારા હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે અમૂલની ચૂંટણીમાં બ્લોકવાઈઝ મતદાન કરાવવામાં આવે તેવી માંગણી કરતી અરજી પ્રાંત કલેક્ટરને કરાઈ છે ત્યારે આ અંગે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Tags :