ચરોતરમાં દેવઉઠી અગિયારસ શ્રધ્ધાભેર ઉજવાઈ
- આણંદ અને ખેડા જિલ્લાના વિવિધ મંદિરોમાં તુલસી વિવાહ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આણંદ. નડિયાદ, તા,19 નવેમ્બર 2018, સોમવાર
પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કર્યા બાદ આજે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં દેવ ઉઠી અગિયારસની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ મંદિરો ખાતે તુલસી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તો દ્વારા ઠાકોરજી તથા તુલસીજીના ધામધુમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા.
ખેડા જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર તથા વડતાલ ઉપરાંત નડીઆદ સહીતના અનેક ગામોમાં આજે દેવઉઠી અગિયારસ તથા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડતાલમાં ચાલી રહેલા સામૈયામાં વહેલી સવારે અભિશેક તથા બપોરે છપ્પનભોગના દર્શન કરવા લાખો હરિભક્તો ઉમટયા હતા જ્યારેડાકોરમાં ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો.
જેમા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મોડી રાત્રે ઠાકોરજીની તુલસી માતા સાથે લગ્ન વિધિ કરવામાં આવી હતી. ડાકોર ઉપરાંત આજે નડિયાદ સહિત જિલ્લાભરમાં તુલસી વિવાહની ધામધૂમથી કરાયેલ ઉજવણીમાં ભક્તો જાનૈયા બનીને ભક્તિરસમાં તરબોળ બન્યા હતા.આ વર્ષે વૈષ્ણવો દ્વારા તુલસી પરણાવી કન્યાદાનનો લ્હાવો લાધો હતો.જેમાં કુંજોમાં પધારેલા ઠાકોરજી પધારીને વૈષ્ણવોની મનોકામના પૂર્ણ કરે તેવી આસ્થા ભાવિકોમાં હોય છે.
દેવઉઠી અગિયારસ નિમિત્તે કેટલાક ભક્તોએ ઉપવાસ કરી પૂજા-અર્ચના કરી હતી. લગ્ન સમયે ભક્તોએ દારૂખાનાની આતશબાજી કરી હતી. આજના દિવસ પછી લગ્નસરાની મોસમ શરૂ થશે.
આણંદ જિલ્લાના વિવિધ નગરો તથા ગામમાં આવેલ વૈષ્ણવ મંદિરમાં આજે પ્રબોધીની એકાદશીની ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી. મહિલા મંડળો તથા ભજન મંડળો દ્વારા ઠાકોરજી તથા તુલસીજીના વિવાહ કરવામાં આવ્યા હતા. આ દિવસે વિવાહ મંડપ શેરડીથી બનાવવામાં આવતો હોય છે.
શેરડીનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવતો હોય છે. કેટલાક મંદિરોમાં આજે શાકોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે આજે દેવઉઠી અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી. ચાર મહિના બાદ એટલે કે આવતીકાલથી વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણી શરૂ થશે તથા લગ્નસરાની મોસમ પણ શરૂ થઈ જશે.
જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ સ્થિત સંતરામ મંદિર ખાતે પૂ.ગણેશદાસજી મહારાજના આશીર્વાદ સાથે તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. જેમાં બપોરના સુમારે વરઘોડો કાઢ્યા બાદ આજે સાંજના સુમારે હસ્તમેળાપ તથા ભજન-કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આણંદ શહેરના ગોયા તળાવ નજીક આવેલ રણછોડજી મંદિર ખાતે સવારના સુમારે તુલસીવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. બપોર બાદ ઠાકોરજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેમજ રાત્રિના સુમારે તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લાના પેટલાદ, ખંભાત, બોરસદ, આંકલાવ, તારાપુર સહિતના વિવિધ ગામો ખાતે પણ તુલસીવિવાહ કાર્યક્રમનો હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિસધ્ધ યાત્રાધામ વડતાલ મંદિરમાં સવારે છ વાગે શ્રીજી મહારાજને જુદા જુદા અભિશેકો કરવામાં આવ્યા હતા. જેમાં પંચામૃત ઉપરાંત વિવિધ ફુલોના રસો, ફુલોની પાંદડીઓથી ભગવાનને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નવડાવ્યા હતાં.
બપોરે ભગવાન સન્મુખ છપ્પનભોગ ધરાવવામાં આવ્યા હતાં, વડતાલમાં ચાલી રહેલા સામૈયામાં સાંજે હરીકથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી લાખો હરીભક્તો ઉમટયા હતાં.
યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ અગિયારસના રોજ ઉજવાતા દેવ ઉઠી અગિયારસના પર્વનો અનેરો મહિમા છે. રણછોડજીના મંદિરને આજે તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના બે તરફના દીપમાળ ટાવરો હજારો દીવડાથી ઝળહળી ઉઠયા હતા.
ઠાકોરજીની સાંજે ઉત્થાપન આરતી બાદ તેમનો વરરાજાના રૂપમાં વરઘોડો નીકળ્યો હતો, સાંજે છ વાગ્યાના સુમારે ઢોલ નગારા સાથે લક્ષ્મીજી જવા નીકળેલ આ ભવ્ય વરઘોડામાં ગોપાલલાલજીને શણગારેલા અશ્વ તથા સોને મઢેલ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. વરઘોડાના માર્ગમાં યુવાનો દ્ધારા જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.
ડાકોરમાં પરંપરા અનુસાર ઠાકોરજી પોતાની પટરાણી લક્ષ્મીજીના મંદિરેથી રાત્રે પરત મંદિરે આવ્યા હતા. જ્યાં મંદિરના પરિક્રમા ચોકમાં જુદી જુદી જગ્યાએ મંડપ મોયરામાં લાલજી મહારાજને બિરાજમાન કરી ભૂદેવો દ્ધારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથેના લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ માટે મંદિર પરિસરમાં વૈષ્ણવો દ્વારા લગ્ન મંડપ રૂપે પાંચ લતાકુંજો બનાવવામાં આવ્યા હતાં. ફુલોથી શણગારેલા આ લતાકુંજોમાંજ ભગવાનની લગ્ન વિધી યોજાઈ હતી. ત્યા આગળ જાનૈયાના રૂપમાં હાજર ભક્ત મહેરામણ જેમાં ખાસ કરીને મહિલાઓએ લગ્ન ગીતો ગાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ડાકોર ઉપરાંત નડિયાદ ખાતે માઈમંદિર, ગીતામંદિર, નારાયણદેવ મંદર, ગોપાલ લાલજીનું મંદર, રામજી મંદિર તથા પીપલગ પટેલ વાડી ખાતે તુલસી વિવાહની ઉજવણી વૈષ્ણવ ભકતોએ ધામધુમથી કરી હતી.
ભગવાન વિષ્ણુજી શાલિગ્રામના સ્વરૂપે વૃંદા એટલે કે તુલસી માતા સાથે લગ્ન કર્યા હતા. દેવ ઉઠી અગિયારસના આ પર્વનું હિન્દુ શાસ્ત્રોમાં એટલું મહત્વ છે કે આ દિવસથી માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
દેવ ઉઠી અગિયારસે ચાર્તુમાસની પણ પૂર્ણાહૂતિ થાય છે. એટલે આ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે દેવદિવાળી સુધી મંદિરોમાં તુલસી વિવાહના પર્વની ઉજવણી કરી શકાય છે અનાદિકાળથી આ પ્રથા ચાલતી હોવાનું મંદિરના પૂજારીઓ પાસેથી જાણવા મળ્યું છે.