સીએનજીની કિંમત વધતા રિક્ષા ભાડામાં પણ વધારો કરવા માંગણી
- આણંદ શહેરમાં 3 હજારથી વધુ દોડતી રિક્ષાઓ
- મિનિમમ રિક્ષા ભાડું રૂપિયા 15 થી વધારીને રૂ. 20 સુધી કરવા સીએનજી રિક્ષા ચાલકોની માગ
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે જ્યારે હવે વાહનચાલકો ઈંધણ સ્વરૂપે સીએનજી ગેસનો વધુ ઉપયોગ કરતા થયા છે. જો કે સીએનજી ગેસના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અન્ય ગેસ કંપનીઓ દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો નોંધાયા બાદ આણંદ સ્થિત ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા ગત મંગળવારે સીએનજી ગેસના ભાવમાં રૂા. ૧નો વધારો કરાયો હતો. ગત ઓક્ટોબર માસથી અત્યાર સુધીમાં ગેસ કંપની દ્વારા સાત વખત વધારો કરી લગભગ રૂા. ૨૧નો ભાવવધારો કરવામાં આવ્યો છે. જેને લઈ સીએનજી રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કેટલીક વાર કેટલાક સીએનજી ગેસ સ્ટેશનો ખાતે ગેસનો પૂરતો સ્ટોક ન હોવાના કારણે રીક્ષા ચાલકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. જેને લઈ આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. સીએનજી ગેસના ભાવમાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં લઈ રીક્ષા ચાલકો દ્વારા મીનીમમ ભાડું રૂા. ૧૫થી વધારી ૨૦ રૂપિયા કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. તો બીજી તરફ હાઈવે ઉપર દોડતા વિવિધ સીએનજી વાહનોના ભાડામાં પણ ભાવ વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. જિલ્લાના વડા મથક આણંદમાં આશરે ત્રણ હજારથી વધુ રીક્ષાઓ દોડે છે. આણંદ નજીક જ શિક્ષણ નગરી વિદ્યાનગર આવેલ હોઈ આણંદથી વિદ્યાનગર જવા માટે અનેક વિદ્યાર્થીઓ સીએનજી રીક્ષાઓનો ઉપયોગ કરે છે. ત્યારે રીક્ષા ચાલકો દ્વારા જો મીનીમમ ભાડુ વધારવામાં આવશે તો તેનો સીધો બોજ વિદ્યાર્થીઓની પોકેટમની ઉપર પડી શકે છે. સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવવધારા ઉપર નિયંત્રણ લાદવામાં આવે તેવી માંગ ઊઠી છે.