Get The App

પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે કીમોથેરાપીની સારવાર મળશે

Updated: Jun 8th, 2023

GS TEAM


Google News
Google News
પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે કીમોથેરાપીની સારવાર મળશે 1 - image


- કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર

- દર્દીઓએ હવે વડોદરા કે અમદાવાદ સુધી લાંબા  થવું નહિં પડે

આણંદ : આણંદ જિલ્લાના કેન્સરના દર્દીઓને ઓપરેશન પહેલા કે ઓપરેશન પછી કીમોથેરાપી આપવામાં આવે છે. આ સારવાર હવે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં બીપીએલ કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે મળશે. આ ઉપરાંત આણંદ જિલ્લાના રહેવાસી હોય કે આણંદ જિલ્લા બહારના હોય તે તમામ કેન્સરના દર્દીઓ સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતેથી કિમોથેરાપીની સારવાર મેળવી શકશે.

વધુમાં હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ જે લોકો પાસે બીપીએલ કાર્ડ કે આયુષ્માન કાર્ડ નથી તેવા દર્દીઓને સરકાર દ્વારા નક્કી કરાયેલ નજીવા દરે સારવાર આપવામાં આવશે. જેથી આણંદ જિલ્લાના કેન્સરના દર્દીઓ કે જેઓ અમદાવાદ, વડોદરા કે અન્ય શહેરમાં જઈ સારવાર લેતા હોય તેમને થતો ખર્ચ હવે બચી શકશે. પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ જ સારવાર બીપીએલ તથા આયુષ્યમાન કાર્ડ ધારકોને વિનામૂલ્યે મળશે તેમ કીમોથેરાપી વિભાગના નોડલ ઓફિસર ડો. માર્ગેશ પટેલે જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે કીમો થેરાપીના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તૈયાર કરીને ચાર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં એક બેડ ઉપર દિવસ દરમિયાન ત્રણ દર્દીને કીમોથેરાપી સારવાર આપવામાં આવે તો રોજના બાર દર્દીઓને કીમો થેરાપીની સારવાર પેટલાદ ખાતે જ આપી શકાશે તેમ ડો. પટેલે ઉમેર્યું હતું.

પેટલાદ સિવિલ હોસ્પિટલના કીમોથેરાપી વિભાગના નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેની અમારી મલ્ટિડિસિપ્લિનરી ટીમ દરેક દર્દીની ચોક્કસ સ્થિતિ, તબીબી ઈતિહાસ અને એકંદર આરોગ્યને ધ્યાનમાં રાખીને સારવારની યોજનાઓ તૈયાર કરવા માટે સહયોગથી કામ કરે છે. 

તાજેતરમાં સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે કીમોથેરાપી લેનાર સૌપ્રથમ દર્દી પેટલાદ શહેરના રહેવાસી કે જેઓને ફેફસાંનું કેન્સર હોવાથી કીમોથેરાપીની સારવારની જરૂર હતી તેઓને તેમની કેન્સરની સારવારના ભાગરૂપે કીમોથેરાપીની સારવાર પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે જ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કીમોથેરાપી એ કેન્સરની સારવારનો એક મહત્વપૂર્ણ ઘટક છે. કીમોથેરાપી એ એક જટિલ પ્રક્રિયા છે જેમાં સાવચેતીપૂર્વક આયોજન, વ્યક્તિગત સારવાર, પ્રોટોકોલ અને સતત દેખરેખની જરૂર હોય છે ત્યારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીને વિનામૂલ્યે સારવાર મળતા દર્દી તથા તેમના સગાંઓએ આનંદ તથા સંતોષની લાગણી અનુભવી હતી.

પ્રથમ કીમો થેરાપી અમદાવાદ લેવી પડશે, બાકીની અહિંયાથી મળશે

ડો.માર્ગેશે જણાવ્યું કે કેન્સરના જે દર્દીઓને કીમોથેરાપી હજુ શરૂ થઈ નથી તેવા દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, અમદાવાદ એટલે કે જીસીઆરઆઈના કીમો થેરાપી વિભાગના ડોક્ટરનો સંપર્ક સાધી ને કીમો થેરાપીની કેટલી સાયકલ આપવાની છે એટલે કે પ્રોટોકોલ સેટ કરવા માટે પ્રારંભમાં જીસીઆરઆઈ અમદાવાદ ખાતે પહેલી કીમો થેરાપી માટે જવાનું રહેશે અને ત્યારબાદ તમામ કીમો થેરાપી સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે જ આપવામાં આવશે. આમ આણંદ જિલ્લાના રહેવાસી હોય અને જીસીઆરઆઈ અમદાવાદ કે અન્ય શહેરમાં કીમો થેરાપી લેવા જવાનું હોય તેમાં રાહત મળશે.

Tags :