બોરસદ સબ જેલમાંથી ફરાર વધુ એક આરોપી ઝડપાયો
- 5 માસ પહેલા ચાર કેદી ભાગ્યા હતા
- 4 માંથી 3 આરોપી ઝડપી પડાયા, હજુ 1 આરોપી ફરાર
આણંદ જિલ્લાના બોરસદ પોલીસ મથકે ધુવારણ રોડ પર એક મહિલાની નગ્ન હાલતમાં મળેલ લાશ અંગે પોલીસ તપાસ શરુ કરાઈ હતી. આ ગુનામાં બોરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમ્યાન સંજય ઉર્ફે ચોટલી ગણપતભાઈ પરમારને ઝડપી લીધો હતો.
જેને અંતે બોરસદ સબ જેલમાં મોકલી દેવાયો હતો. આ ઈસમે જેમાં અન્ય ત્રણ કેદીઓ સાથે મળી તા. ૨-૯-૨૦૨૩ના રોજ રાત્રીના સુમારે બેરેક નં. ૩માંથી ભાગી છુટયા હતા. આ ચારેય ઈસમોેને ગત પાંચ માસથી પોલીસ શોધી રહી હતી. પરંતુ ચારેય પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. જેમાંથી પોલીસને ગુપ્ત બાતમી મળતા બોરસદ પાસે આવેલ એક હોટલ પાસે સંજય ઉર્ફે ચોટલી આવનાર હોવાથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
બોરસદની જેલની દિવાલ કૂદી ભાગ્યા હતા
બોરસદની સબ જેલના બેરેક નં.૩માં ૭ કાચા કામના કેદીઓ હતા જે પૈકી ચાર કેદીઓ ભાગ્યા હતા.આ કેદીઓ લોખંડના સળીયા વાળીને ઉંચા કરી ૨૦ ફુટની દિવાલ ફાંદી ભાગી છુટયા હતા.હત્યા કેસનો આરોપી સંજય ગણપતભાઈ પરમાર, ચુવા ગામનો દુષ્કર્મનો આરોપી જયદીપ મગનભાઈ રાઠોડ, કિંખલોડના રવિપુરાનો દુષ્કર્મનો આરોપી અશ્વિન ઉર્ફે ભોલો પૂનમભાઈ ઠાકોર તથા મધ્યપ્રદેશના અલીરાજપુરનો પ્રોહીબીશનનો આરોપી પિન્ટુ લક્ષ્મણભાઈ સંગારીયા રાખવામાં આવ્યા હતા જેમાંથી ચાર ઈસમો ભાગી છુટયા હતા.