- યોગ્ય આયોજનના અભાવે તળાવમાં પાણી સંગ્રહ થતું ના હોવાના આક્ષેપ
આણંદનું ગોયા તળાવમાં છેલ્લા ઘણાં વર્ષોથી પાણી સુકાઈ જતા રમતનું મેદાન બન્યું હોવાનું નજરે પડી રહ્યું છે. વેકેશનમાં બાળકો તળાવમાં ક્રિકેટની મજા માણતા નજરે પડી રહ્યા છે. તળાવ સુકાઈ જવાના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષોથી ગણપતિ વિસર્જન પણ શક્ય બનતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમાસામાં ભરપુર વરસાદ આવે છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય આયોજનના અભાવે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ના હોવાના કારણે તળાવો ગરમીને કારણે સુકાઈ રહ્યા હોવાના આક્ષેપો શહેરીજનોમાંથી ઉઠયાં છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આવા તળાવો એક મીઠી વીરડી સમાન છે અને જો તેને વિકસિત કરવામાં આવે તો આવી ગરમીમાં ફરવા માટેનું એક સ્થળ બની શકે તેમ હોવાનું જણાવી તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે.


