આણંદ : ઉમરેઠમાં મૃત હાલતમાં મળેલું પ્રાણી આફ્રિકન જેનેટ કે વનિયર ? તર્ક-વિતર્ક
- વિચિત્ર જાનવરને જોવા લોકોનાં ટોળાં ઉમટયાં
- મૃત પ્રાણી વનિયર હોવાનો વન વિભાગનો દાવો પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે
આણંદ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
ઉમરેઠથી ઓડ જતા માર્ગ ઉપર ઓવરબ્રિજ નીચે ગત રાત્રીના કોઈ અજાણ્યા લોકોએ એક વિચિત્ર પ્રકારનું જાનવર મરેલી હાલતમાં નાખી ગયા હોવાની અને આ મૃત જાનવર આફ્રિકન જેનેટ જાતિનું હોવાની હવા ફેલાતા આ વિદેશી જાનવરને જોવા કુતુહલવશ ટોળે ટોળાં વળ્યાં હતા.
વન વિભાગને આ બાબતે જાણ કરતા તે બિલાડીના કૂળનું વનિયર પ્રાણી હોવાનું જણાવ્યું હતું. ચર્ચા છે કે બે યુવાનો મોટરસાયકલ ઉપર આ જાનવરને નાખી ગયા હતા,તો તેવી વાત હોય તો જાનવરને વિદેશથી લાવવામાં આવ્યું હોય તો સમગ્ર મામલો ઊંડી તપાસનો બની શકે જોકે પોસમોટર્મના રિપોર્ટ બાદ સાચી વાત ખબર પડે તેમ છે.
ઉમરેઠ ઓડ રેલવે ઓવરબ્રિજની નીચે આફ્રિકન જાનવર જેનેટની હત્યા કરી નાખી ગયા હોવાની અફવા ફેલાઈ હતી, આથી આસપાસના લોકો આ જાનવરને જોવા પહોંચી ગયા હતા, અને થોડીક જ વારમાં જુદી જુદી અફવાઓ ફેલાવવાની શરૂ થઇ ગઈ હતી, પરંતુ આજે સવારે વનવિભાગ દ્વારા તે જેનેટ નહીં પરંતુ વનિયર નામનું પ્રાણી હોવાનું જાહેર કરેલ હતું.
ઉમરેઠ આર.એફ.ઓ રાણાએ જણાવ્યું હતું કે ઉમરેઠ ઓડ ઓવરબ્રિજ નીચે જે પ્રાણીનો મૃતદેહ મળી આવ્યો છે તે બિલાડીના કુળનું વનિયાર નામનું પ્રાણી છે એ મોટા ભાગે રાત્રે ઉંદર જેવા નાના પ્રાણી ઓનો શિકાર કરતુ હોય, વનિયર મોટાભાગે રાત્રે જોવા મળે છે, ઉમરેઠ વિસ્તારમાં આ પ્રાણીઓની વસ્તી છે લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે, પરંતુ વનિયર બિલાડી કરતા સહેજ મોટું હોય છે, પરંતુ તેની ઉંચાઈ બિલાડીથી ઓછી હોય છે અને તે ફક્ત નાના પ્રાણીઓનો શિકાર કરે છે, શક્ય છે કે રાત્રે શિકાર માટે નીકળેલ વનિયર સાધનની અડફેટે આવી ગયું હોય. અમે તેનું પી.એમ કરાવેલ છે અને આવતી કાલે એનો રિપોર્ટ આવી જશે.