- નદીમાં તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ મૃતદેહ બહાર કઢાયો, મૃતદેહને પીએમ માટે મોકલ્યો
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે લાલપુરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ખુમાનસીંગ પઢીયાર (ઉં.વ.૩૫) ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થયા હતા. જે અંગે યુવકના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવકનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારજનો તપાસ કરતા કરતા કહાનવાડી નજીકથી પસાર થતી મહીસાગર નદી ઉપર તૈયાર થયેલ નવા બ્રીજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યુવકના પગરખા બ્રીજ ઉપરથી મળી આવ્યા હતા. જેથી યુવકે નદીમાં છલાંગ લગાવી હોવાની આશંકા સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના પાણીમાં શોધખોળ આરંભી હતી. દરમિયાન આજે સવારે યુવકનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.


