mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બોરસદના સંતોકપુરા નજીક રિક્ષાની ટક્કરે એક વ્યક્તિનું મોત

Updated: May 24th, 2023

બોરસદના સંતોકપુરા નજીક રિક્ષાની ટક્કરે એક વ્યક્તિનું મોત 1 - image


- લગ્ન કંકોત્રી આપી ચાલતા ઘરે જતા હતા અને અકસ્માત થયો

- અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત, ફરાર રિક્ષા ચાલકની શોધખોળ શરૂ

આણંદ : બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલ સંતોકપુરા સીમમાં પુરપાટ ઝડપે જઈ રહેલ એક રીક્ષાના ચાલકે રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહેલ દંપતિ પૈકી પતિને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલ પતિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા સંતોકપુરા ગામે રહેતા અલ્પેશભાઈ ભઈલાલભાઈ ઠાકોરના મોટા બાપુ રાવજીભાઈ સોમાભાઈ ઠાકોર તથા તેઓના પત્ની ભાણીયાનું લગ્ન હોઈ તેમના ઘરે કંકોત્રી આપવા માટે આવ્યા હતા. જ્યાં કંકોત્રી આપી એકાદ કલાક રોકાયા બાદ તેઓ ઘર તરફ પરત ચાલતા ચાલતા જવા નીકળ્યા હતા.

 દરમ્યાન સંતોકપુરા સીમમાં આવેલ ખરી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પેટલાદ તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલ એક રીક્ષાના ચાલકે રાવજીભાઈને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રાવજીભાઈને માથા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને ૧૦૮ મારફતે તુરત જ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જો કે તેઓને વધુ સારવારની જરૂર હોઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જો કે તેઓને અમદાવાદ ખાતે લઈ જતા રસ્તામાં વધુ સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર રીક્ષા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat