એનઆરઆઈની જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ
- બોરસદના વહેરા-જીલોડપુરા સીમમાં
આણંદ : બોરસદ તાલુકાના તાલુકાના વહેરા-જીલોડપુરા ગામની સીમમાં આવેલ એક એનઆરઆઈની જમીન ઉપર એક શખ્સે ગેરકાયદેસર કબજો જમાવી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે કલેક્ટરના આદેશ અનુસાર લેન્ડ ગ્રેબીંગનો ગુનો બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મૂળ વહેરા ગામના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા સંગીતાબેન નાથાભાઈ પટેલની ૧.૦૨ હેક્ટરવાળી વડીલો પાર્જિત જમીન વહેરા-જીલોડપુરા ગામની સીમમાં આવેલ છે. આ જમીનનો તેઓના ભાઈ નિરંજનકુમાર નાથાભાઈ પટેલનું ૭/૧૨ તથા રેવન્યુ રેકર્ડમાં નામ ચાલતું હોઈ તેઓ આ જમીન ખેડતા હતા .
અને જમીનમાં એક ઓરડી બનાવી ખેતી વિષયક સાધનો પણ રાખતા હતા. દરમ્યાન વર્ષ ૧૯૯૮માં તેઓ અમેરીકા જતા પુત્ર રીતેશ જમીન ખેડતો હતો. બાદમાં તેની ફાઈલ ખુલતા તે પણ વર્ષ ૨૦૧૬માં અમેરીકા ગયો હતો. ત્યારથી આ જમીનની સાચવણી બોચાસણ ખાતે રહેતા ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ કરતા હતા.
જો કે ઉક્ત જમીનનો પાવર ઓફ એટર્ની નિરંજનભાઈએ બહેન સંગીતાને કરી આપ્યો હતો. દરમ્યાન ગત તા.૧૯મી એપ્રિલ-૨૦૨૧ પહેલા વહેરા ગામે રહેતા રમાભાઈ શનાભાઈ ઠાકોરે ઉક્ત જમીન ઉપર કબજો જમાવી ઓરડીનું તાળું તોડી નાંખ્યું હતું.
જેની જાણ ભૂપેન્દ્રભાઈએ સંગીતાબેનને કરતા તેઓ વહેરા ગામે ગયા હતા અને જમીન ઉપર જતા જ ત્યાં હાજર રમણભાઈ ઠાકોરે જો ફરીથી આ જમીનમાં પગ મુક્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગે સંગીતાબેન આણંદની જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરીયાદ આપતા કમિટીએ તપાસ કરી લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોઈ બોરસદ ગ્રામ્ય પોલીસને આ અંગે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. જેથી પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.