Get The App

આણંદ શહેરમાં કોરોનાના 7 કેસ પરંતુ આરોગ્ય વિભાગના ચોપડે માત્ર ત્રણ દર્દી નોંધાયા

- ગંજબજારમાં ત્રણ અને વૃંદાવન પાર્કમાં ચાર કેસ નોંધાયા

- સરદારગંજ વિસ્તારમાંથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ આરોગ્ય વિભાગના રેકર્ડમાં ન નોંધાતા તર્કવિતર્ક

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
આણંદ શહેરમાં કોરોનાના 7 કેસ પરંતુ આરોગ્ય વિભાગના ચોપડે માત્ર ત્રણ દર્દી નોંધાયા 1 - image


આણંદ,તા.02 જુલાઈ 2020, ગુરુવાર

આણંદ શહેરમાં કોરોના વાયરસનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. પારિવારિક સંક્રમણને લઈ શહેરમાં વધુ કેટલાક કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે આણંદ શહેરના ગંજ બજારમાંથી ત્રણ અને જીટોડીયા રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક ખાતેથી કોરોનાના ચાર પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

વૃંદાવન પાર્ક ખાતેથી મળી આવેલ કોરોના વાયરસના કેસ અગાઉના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા હોઈ તેઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સરદારગંજ વિસ્તારમાંથી મળી આવેલ કોરોનાગ્રસ્ત દર્દીઓ આરોગ્ય વિભાગના ચોપડે ન નોંધાતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લામાં માત્ર ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.

અનલોક-૧માં આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ હવે અનલોક-૨માં ધીમે-ધીમે કોરોના વાયરસ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે. આજે આણંદ શહેરના સરદારગંજ તેમજ જીટોડીયા રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક ખાતેથી કોરોના વાયરસના કુલ ૭ પોઝીટીવ કેસ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

સવારના સુમારે આરોગ્ય તથા પાલિકાની ટીમો કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને હોમકોરોન્ટાઈન કરી આરોગ્ય તપાસણી હાથ ધરી હતી.

આણંદ શહેરના સરદારગંજ વિસ્તારમાં આવેલ કૃષ્ણ હોલની સામેના રાધા પાર્ક ખાતે રહેતા એક ૪૭ વર્ષીય મહિલા, ૨૨ વર્ષયી યુવતી તથા ૧૯ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ  પોઝીટીવ આવ્યો છે. જ્યારે જીટોડીયા રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક ખાતે રહેતા એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.

બીજી તરફ કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરેલ આણંદના એક ૭૯ વર્ષીય પુરૂષનું ગઈકાલ રાત્રિના સુમારે મોત નીપજ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ વ્યક્તિનો કોરોના ટેસ્ટ આજે પોઝીટીવ આવતા પાલિકાની ટીમ ભાલેજ રોડ ઉપર આવેલ ઈમાનુએલ સોસાયટી ખાતે પહોંચી જઈ સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

ઉપરાંત ગતરોજ શહેરના બગદાદનગર ખાતેથી મળી આવેલ કોરોનાગ્રસ્ત દર્દીનું પણ વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી ચર્ચાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કોઈ પૃષ્ટિ કરાઈ ન હોવાનું જાણવા મળેલ છે.

પાલિકાની ટીમે પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી પણ ચોપડે કેસ ન નોંધાતા કુતુહલ

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક ખાતેથી એક, ભાલેજ રોડ ઉપર આવેલ ઈમાનુએલ સોસાયટી ખાતેથી એક અને ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાંથી એક મળી આજરોજ જિલ્લામાં કુલ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે.

તેમજ આજે કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત ન નીપજ્યું હોવાનું તેઓની યાદીમાં જણાવાયું છે. એક તરફ પાલિકાની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારની મુલાકાત લઈ તબીબી પરીક્ષણ હાથ ધરાય છે ત્યારે  બીજી તરફ આરોગ્ય તંત્ર દ્વારા આવા કોઈ દર્દીઓની ચોપડે નોંધ ન લેવાતા આંકડાની રમત અંગે નાગરિકોમાં ભારે કુતુહુલ વ્યાપ્યું છે.

Tags :