ધારી ખોડીયાર ડેમના ચાર દરવાજા અઢી-અઢી ફુટ ખોલાયા
- ગીર કાંઠાના ગામોને જંગલમાં ભારે વરસાદના પગલે
- શેત્રુંજી નદી ગાંડીતુર: જીવનમુક્તેશ્વર મહાદેવના પુલ પર પુરના પાણી ફરી વળ્યા
ધારી, તા. 30 ઓગસ્ટ 2020, રવિવાર
ધારીના ગીરકાંઠાના ગામોમાં ગતરાત્રીના તથા સવારે આવેલા ભારે વરસાદ ઉપરાંત જંગલમાં પડેલા વરસાદના પગલે શેત્રુંજી નદીમાં ભારે પુર આવ્યું હતુ. જેના પગલે ધારીના ખોડીયાર ડેમના ચાર દરવાજા અઢી અઢી ફુટ ખોલવામાં આવ્યા છે. તેમજ જીવન મુકતેશ્વર મહાદેવ મંદિરના પુલ પરથી પાણી વહી રહયા છે.
ધારી પંથકમાં સવૅત્ર 1 થી 5 જેટલો વરસાદ વરસી ગયો હતો . જેમાં ગીરકાંઠાના દલખાણીયા, પાણીયા, સાપનેસ તથા જંગલમાં 5 ઈચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રાત્રી તથા સવારના અવિરત વરસાદના કારણે શેત્રુંજી નદી ગાંડીતૂર થઈ હતી. અને બે કાંઠે વહી રહી હતી .જેના પગલે જીવન મુકતેશ્રવર મહાદેવ મંદિરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. નદીના પાણીની આવકથી ખોડીયાર ડેમના 4 દરવાજા અઢી અઢી ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે.
ધારીના ગીર વિસ્તારમાં પડેલ વરસાદના કારણે શેત્રુંજી ગાંડીતુર બની છે. ધારી તેમજ તાલુકાના ઝર, સરસીયા, કુબડી, ગોવિદપુર, ગીગાસણ , જીરા, દુધાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડયો છે.