ધારી, બગસરા અને ખાંભાની બેઠક પર ચૂંટણીનાં મેદાનમાં પાટીદાર V/S પાટીદાર
Updated: Nov 9th, 2022
- વિધાનસભા ચૂંટણી જંગ
- પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવાથી 1998થી ભાજપ - કોંગ્રેસના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ પણ પાટીદાર
- પાટીદાર અનામત આંદોલન દરમિયાન અહીં સૌથી વધુ દેખાવો થયા હતા તેથી ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે બેઠક ગુમાવવી પડી હતી
અમરેલી
ધારી વિધાનસભા બેઠક પર ધારી, બગસરા અને ખાંભા તાલુકાના ૨૭ ગામોનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૬૨થી ધારી બેઠકમાં ૧૩ વખત ચૂંટણી યોજાઈ છે. શરૂઆતમાં ધારી બેઠક ૩૮-ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ ૧૯૭૫માં ૪૬-ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૨થી ધારી બેઠકને ૯૪-ધારી બેઠકની ઓળખ મળી છે. અંહી પટેલ, કોળી, દલિત, ક્ષત્રિય, લઘુમતી, આહીર, પટેલ, કોળી, દલિત, ક્ષત્રિય , લઘુમતી, આહીર, ભરવાડ, દેવીપુજક, લોહાણા, સતવારા, સોની, બ્રાહ્મણ જ્ઞાાતિનો સમાવેશ થાય છે. આ સીટ ઉપર પટેલ, કોળી,દલિત તેમજ ક્ષત્રિય સમાજ નું પ્રભુત્વ જોવા મળે છે.આ બેઠક પર ૯૫,૦૦૦૦ થી વધૂ પાટીદાર મતદારો છે. જ્યારે ૨૮,૦૦૦ થી વધુ કોળી તેમજ ૧૨ હજાર આસપાસન ક્ષત્રિય મતદારોનો સમાવેશ થાય છે. તો ૧૮ હજારથી વધુ દલિત મતદારો આ બેઠક પર છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતદારો પણ આ બેઠક પર વધુ પ્રમાણમાં છે.
આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા પાટીદાર સમજમાંથી ઉમેદવારને અંહી મેદાને ઉતારવાનું પસંદ કરે છે. ૧૯૯૮થી આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ પાટીદાર ચહેરાને જ આ બેઠક પરથી મેદાને ઊતરતી આવે છે. જેથી આ બેઠક પર પાટીદાર વસસ પાટીદાર જંગ જોવા મળે છે.
આ બેઠક પર ધારી, બગસરામાં પાટીદાર ફેક્ટરની ઘણી અસર જોવા મળી હતી.ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે ધારી, બગસરા વિસ્તારમાં સૌથી વધુ દેખાવો થયા હતા. અને હાર્દિકપટેલ,અલ્પેશ કથીરિયા જેવા નેતાઓએ પણ આ વિસ્તારમાં મુલાકાત કરી હતી. જેથી ૨૦૧૭માં આ બેઠક પર ભાજપને મોટું નુકશાન થયું હતું. અને સીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી કોઈ પણ પક્ષ હોય આ બેઠક પર કબજો મેળવવો હોય તો પાટીદારોને સાથે રાખીને ચાલવું પડશે. તો જ ફાયદો મળી શકે છે.
ચૂંટણીનૌ રોચક ઇતિહાસ
૨૦૧૨ ની ચૂંટણીમાં અહીં ધારાસભ્ય નલિનભાઈ કોટડીયા કેશુભાઈ પટેલના પક્ષમાંથી ઉભા રહ્યા હતા.તેમની સામે કોંગ્રેસ પક્ષમાંથી કોકિલાબેન કાકડીયા ઉભા રહ્યા હતા.નલિનભાઈ ને ૪૧૫૧૬ જેટલા મત મળ્યા હતા જ્યારે કોકિલાબેન ને ૩૯૯૪૧ મત મળ્યા હતા. આમ નલિન કોટડીયા નજીવી સરસાઈથી જીત્યા હતા. પહેલા નલિન કોટડીયા ભાજપ પક્ષમાં જતા પરંતુ ટીકીટ ના મળતા તેઓએ જીપીપી પાર્ટીમાંથી લડયા હતા ત્યારબાદ તેમને ભાજપ ને ટેકો આપ્યો હતો. પરંતુ પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં તેઓ ખુલ્લેઆમ પાટીદારોના સમર્થન મા આવ્યા હતા અને હાર્દિક પટેલની સાથે ખુબજ નજીક આવી ગયા હતા. જેથી આ બેઠક પર ત્રીજો પક્ષને પણ લોકો પસંદ કરતાં હોય છે. તેવામાં આ વખતની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જેથી તે પણ આ બેઠક પર ફાયદો મેળવી શકે છે. આ ઉપરાંત આ બેઠક પર અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ સભાઓમાં ભીડ પણ જોવા મળી હતી.
૨૦૧૭ વિધાનસભા ચુંટણીમાં પાટીદાર આંદોલનનો ખુબજ મોટી અસર આ બેઠક પર જોવા મળી હતી. આ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચાલુ ધારાસભ્ય જે.વી કાકડિયા મેદાને ઉતર્યા હતા. તો સામે ભાજપમાંથી દિગ્ગજ સહકારી નેતા દિલીપ સંઘાણી મેદાને ઉતાર્યા હતા. પરંતુ હાદક પટેલ, અલ્પેશ કથીરિયા સહીત પાસની ટીમ દ્વારા અંહી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેને લઈને પાટીદારોએ કોંગ્રેસ તરફી જુકાવ રહ્યો હતો અને જેને લઈને ભાજપને પછડાટ મળી હતી અને ૧૫,૩૩૬ મતોથી દિલીપ સંઘાણીની મોટી હાર અંહીથી થઈ હતી.
આ બાદ કોંગ્રેસના જે. વી કાકડિયાએ પંજાનો હાથ છોડી દીધો હતો અને ભાજપમાં કેસરિયા કરતાં ફરીથી ૨૦૧૯માં આ બેઠક પર પેટા ચુંટણી યોજાઇ હતી. આ પેટા ચુંટણીમાં ફરીથી ભાજપ સાથે થયેલ કમિટમેન્ટને કારણે તેમને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા.તો સામે પક્ષે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશ કોટડીયાને મેદાને જંગમાં ઉતાર્યા હતા.જોકે ભાજપે અંહી કેન્દ્રીય નેતાઓ અને મંત્રીઓની ફોજ મેદાને ઉતારી હતી.જોકે તેમ છતાં આ વખતે આ સીટ ભાજપે કબજે કરી હતી અને સુરેશ કોટડીયાને ૧૭,૨૦૯ મતોથી શિકસ્ત આપી હતી.
ટિકિટ કયા પક્ષમાંથી કોને મળશે?
હાલ આ બેઠક પર ભાજપથી જે. વી કાકડિયા ચાલુ ધારાસભ્ય છે. આ બેઠક પરથી ભાજપમાંથી ૨૦૨૨ના ચુંટણી જંગમાં ઝંપલાવવા માટે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભૂવા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના પત્ની શ્વેતા કોટડીયા તેમજ સહકારી આગેવાન અનિલ કોટડિયા, કિસાન સંઘના મહામંત્રી હિરેન હિરપરા સહીત ૧૬ દાવેદારોએ આ બેઠક પર ટિકીટ માંગી છે. તેવામાં હાલ ભાજપ જો કોઈ રિસ્ક લેવા ન માંગે તો ભાજપમાંથી જે. વી. કાકડિયાની ટિકીટ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
તો કોંગ્રેસ પક્ષ પણ આ બેઠક પરથી કોંગ્રેસના પ્રદિપ કોટડીયા, ફરી એક વાર સુરેશ કોટડીયા અથવા ઓબીસી સમાજમાંથી આવતા ડો.ભીખુ બોરીસાગરને મેદાને ઉતારી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો આમ આદમી પાર્ટી પણ બગસરા વિસ્તારમાંથી આવતા અને હાલમાં જ ભાજપમાંથી આપમાં જોડાયેલ બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયાને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે.
આ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી બે જૂથો એક્ટિવ છે. અંદરખાને ચાલતો વિવાદ કોઈ પણ ઉમેદવારને ટિકીટ મળશે તેને માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. જેથી પાણી પહેલા પાળ બાંધવી ભાજપે જરૂરી છે.
મત વિસ્તારમાં સ્ત્રી-પુરૂષ અને નવા મતદારની સંખ્યા આ બેઠક પર પ્રસિધ્ધ થયેલ આખરી યાદી પ્રમાણે ધારી બેઠક પર કુલ મતદારો - ૨૨૨૯૮૭ પુરુષ મતદારો - ૧૧૬૦૭૨ સ્ત્રી મતદારો - ૧૦૬૯૦૭
આ વિસ્તારની મુખ્ય સમસ્યા
ધારી,બગસરા તેમજ ખાંભામાં કોઈ મોટા ઉદ્યોગો આવેલા નથી અહીં માત્ર હીરા અને ખેતી ઉપર લોકો કામ કરી રહ્યા છે. અહીં રોડ, રસ્તા ગટર, આરોગ્ય વગેરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો ખાંભા ની વાત કરીએ તો અહીં વર્ષોથી મેઈન રોડ અને હાઇવે ના રસ્તાઓ ખખડધજ છે. ખેડૂતને સિંચાઇની સમસ્યા, આ વિસ્તારમાં ખેડૂતો ખૂબજ મોટા પ્રમાણમાં છે અને ગીર વિસ્તારમાં સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓની રંજાડથી પરેશાની છે. ઇકો સેન્સેટીવ જોનને કારણે ખેડૂતોમાં રોષ છે.આ ઉપરાંત તાઉતે વાવજોડ વખતે થયેલ મુશ્કેલીઓને લઈને પણ લોકોએ અને ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.
કેવો ઉમેદવાર જીતી શકે છે તેનો અંદાજ
આ વિસ્તારમાં પાટીદાર સમાજના મતો નિર્ણાયક સાબિત થતાં હોય છે પરંતું આ બેઠક પર મોટા ભાગે ભાજપ-કોંગ્રેસ કે આપ પાટીદાર ઉમેદવાર જ મેદાને ઉતરતા હોય છે જેથી મતો ડીવાઈડ થઈ શકે છે. જેથી અન્ય સમાજને સાથે રાખીને ચાલતો અને ખાસ કરીને આ બેઠક પર મોટા ભાગે ખેડૂતો અને મજૂર વગીય લોકો છે જેથી તેમને મનાવવામાં જે ખરો ઉતરશે તે આ બેઠક પરથી બાજી મારી જશે.