અમરેલીના ઇતિહાસની સાક્ષીરૂપ 185 વર્ષ જૂનો અદ્ભુત રાજમહેલ
- પૌરાણિક ઈમારતનું રીનોવેશન કરવામાં આવે તો જ વિરાસત જળવાશે
- રાજાશાહી સમયકાળના રાજમહેલને મ્યુઝિયમ તરીકે વિકસાવવાની માગણી કરવામાં આવતા વહીવટીતંત્રને દરખાસ્ત મોકલવા સુચના
વડિયા,તા. 10 જાન્યુઆરી 2021, રવિવાર
અમરેલીની ખુમારી સમાન રાજમહેલનું રિનોવેશન કરી પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહિવટીતંત્ર પાસે દરખાસ્ત મંગાવાઈ છે. ૧૮૫ વર્ષ જુનો રાજમહેલને પ્રવાસન નીચે લઈ મ્યુઝિયમ બનાવવા માગણી કરાતા સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમરેલી જિલ્લો એ રાજાશાહી સમય થી રજવાડાના વિવિધ રાજ્યો ધરાવતો હતો. આજે પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્ટેટ સમયના બાંધકામ, કિલ્લાઓ, મહેલો, પુલ હયાત છે. એમાંની એક મહત્વ ની જગ્યા એટલે અમરેલી ની મધ્યમાં આવેલો રાજ મહેલ. આ રાજ મહેલ લગભગ ૧૮૫વર્ષ જેટલો જૂનો છે તે આજે પણ રાજવી ઠાઠ સાથે ભૂતકાળ ની યાદો આપતો આજે પણ અડીખમ ઉભો છે. ભૂતકાળ મા જિલ્લાની વિવિધ કચેરીઓ જેવીકે કલેક્ટર ઓફિસ, જિલ્લાની કોર્ટ પણ આ મહેલમાં હતી અને આજે પણ આર એન્ડ બીની કચેરી અહીં આવેલી છે. હાલ આ જિલ્લા પંચાયત ભવનનુ બિલ્ડીંગ નવું બનતા મોટાભાગની કચેરીઓ ત્યાં સ્થાનાંતર થઇ રહી છે.
ત્યારે આ અડીખમ ઉભેલો રાજ મહેલ એક ઐતિહાસિક વારસો છે. તેનુ સમારકામ કરવામાં આવે તો હજુ લાંબો સમય તે ટકી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરી સાંસ્કૃતિક મ્યુઝિયમ બનાવી તેની જાળવણી કરાય તોે આવનારા દિવસોમા આ બંધ થતી કચેરીઓથી પડતર બની રાજમહેલ ખંઢેર હાલતમા ફેરવાય તે પેહલા તેના રીનોવેશનની માંગણી કરાઈ હતી. આ રજુવાતને ધ્યાનમા લઇને સરકાર દ્વવારા અમરેલીના રાજ મહેલને પ્રવાસન માટે વિકસાવવા જિલ્લાના વહીવટી તંત્રને અંદાજ સહ દરખાસ્ત રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.