એસ.ટી.ના લોકદરબારમાં અધિકારીઓ સમક્ષ પ્રશ્નોની ઝડી : રાજુલામાં ગામડેથી 1700 વિદ્યાર્થિનીઓ, 1300 વિદ્યાર્થીઓ ભણવા આવે છતા નિંભર એસ.ટી. તંત્ર બસની સમયસર વ્યવસ્થા કરતું નથી
રાજુલા, : એક બાજુ ગુજરાત રાજયમાં એક પણ ગામ બસ વિહોણું નથી વહીવટીતંત્ર અને સરકાર ગૂલબાંગો મારે છે. ત્યારે રાજુલા જાફરાબાદ તાલુકાના 30 જેટલા ગામ એવા છે કે એ ગામના લોકોએ એસ.ટી.દર્શન કર્યા નથી. આજે ધારાસભ્યની હાજરીમાં એસ.ટીનો લોકદરબાર યોજાયો હતો. એમાં ગામડાના સરપંચો, શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓ,વિદ્યાર્થિનીઓ, તેમજ વાલીઓ આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ પ્રશ્નોની જડી વરસી હતી.એસ.ટી બસ સ્ટેન્ડમાં જાણે કે મેળાવળો સર્જાયો હોય એવી હાલત હતી.
રાજુલા તાલુકામાં એસ.ટી વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. લોકોને જે સમયે જોઈએ છે એ સમયે બસ મળતી નથી. આવી જ હાલત બહારગામથી રાજુલા ભણવા આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની છે. બસના સમયપાલનની ક્ષતિના કારણે શાળાએ છુટયા પછી ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનીઓ બસની રાહ જોવામાં સમય પસાર કરે છતાં બસ આવતી નથી. બપોરે છેક ત્રણ ત્રણ વાગ્યે બસ આવે અને એ પછી બાળાઓ ઘરે જાય છે.
ખાડે ગયેલા એસ.ટી.તંત્રની બાબતે લોકોએ પૂણ્યપ્રકોપ વ્યકત કરતા કહ્યુ હતુ કે તાલુકાના એભલવડ, લોર, જીકાદરી, ઘરાબંદર, બાબરકોટ, વારાસ્વરૂપ, ભાકોદર, વડ, ભસાદર, ઉસાયા, રામપરા, ભેરાઈ, દેવગામ, મહુન્દ્રા, કાગધામ, ખારી, ખેરાળી, ઉટિયા, અમોલી, સમૂહખેતી ભાક્ષી,ભંડારિયા, માંડરડી, ધારેશ્વર ખેરા, પટવા, સમઢિયાળા,એ હજુ સુધી બસ જોઈ નથી. લોકો ખાનગી જોખમી વાહનોમાં મુસાફરી કરે છે.
લોકદરબારમાં ધારાસભ્ય ખાસ હાજર રહ્યા હતા અને એસ.ટી.તંત્રના નઘરોળ વહિવટની ઝાટકણી કાઢી હતી. વેપારી આગેવાને મહુવા રાજકોટ વાયા રાજુલા રૂટની બસ ચાલુ કરવા , રાજુલા મૂંબઈ મહુવા ધારી, વગેરે રૂટો શરૂ કરવા માગણી કરી હતી. તેમજ અગાઉ પાંચ વર્ષ પહેલા બંધ કરાયેલા રૂટોને ફરી શરૂ કરવા માગણી કરી હતી.


