Get The App

ભારતમાં લગ્ન ન કરવાના હિમાયતી યુવક-યુવતીઓની સંખ્યા ધરખમ વધવા લાગી છે

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં લગ્ન ન કરવાના હિમાયતી યુવક-યુવતીઓની સંખ્યા ધરખમ વધવા લાગી છે 1 - image

- અલ્પવિરામ

- ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન સ્ત્રી-પુરુષ બંને માટે એટલાં મહત્ત્વનાં ગણાય છે કે જો કોઈ પરિવારમાં અપરણિત પુત્ર કે પુત્રી હોય તો તે મિત્રો, પરિવારજનો અને સંબંધીઓમાં ચર્ચાનો વિષય બની જાય છે

લગ્નને પરિવારનો આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે આ સ્તંભમાં તિરાડ પડવા લાગી છે. પહેલાં સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબોમાં બદલાઈ ગયા, પછી સ્ત્રીઓ અને પુરુષોએ એકલા બાળકોની જવાબદારી લેવાનું શરૂ કર્યું અને હવે ઘણા યુવાનો લગ્ન અને પછી બાળકો સહિતની જિંદગી તરફ જવા ચાહતા નથી. તેમના માટે લગ્ન હવે સાત જન્મના પવિત્ર બંધન જેવું કંઇ નથી, પણ આજીવન સજા જેવું લાગે છે. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.

આ રિપોર્ટ અનુસાર ભારતમાં અપરિણીત યુવાનોનું પ્રમાણ વધી રહ્યું છે. ઈ.સ. ૨૦૧૧માં અપરણિત યુવાનોની સંખ્યા ૧૭.૨ ટકા હતી, જે ઈ. સ. ૨૦૧૯માં ૨૩ ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, ઈ. સ. ૨૦૧૧માં ૨૦.૮ ટકા પુરુષો એવા હતા જેઓ લગ્ન કરવા ઈચ્છતા ન હતા, પરંતુ ઈ.સ. ૨૦૧૯માં આવા પુરુષોની સંખ્યા વધીને ૨૬.૧ ટકા થઈ ગઈ. સ્ત્રી સમુદાયના કિસ્સામાં પણ સમાન વલણ જોવા મળ્યું છે. ઈ.સ. ૨૦૧૧માં ક્યારેય લગ્ન ન કરવાનું વિચારતી મહિલાઓની સંખ્યા ૧૩.૫ ટકા હતી, જે ૨૦૧૯ સુધીમાં વધીને ૧૯.૯ ટકા થઈ ગઈ છે. એક રીતે જોઈએ તો દેશના એક ચતુર્થાંશ યુવક-યુવતીઓ લગ્ન કરવા ચાહતાં નથી. અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે રાષ્ટ્રીય યુવા નીતિ - ૨૦૧૪ મુજબ ૧૫થી ૨૯ વર્ષની વયજૂથના લોકોને યુવા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સરકારી અહેવાલ (૨૦૧૯) મુજબ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં સૌથી વધુ સંખ્યામાં અપરિણીત યુવાનો નોંધાયા છે. તે જ સમયે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછા એવા યુવાનો છે જેમણે લગ્ન નથી કર્યાં. 

ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન સ્ત્રી-પુરુષ બંને માટે એટલાં મહત્ત્વનાં ગણાય છે કે જો કોઈ પરિવારમાં અપરિણીત પુત્ર કે પુત્રી હોય તો તે મિત્રો, પરિવારજનો અને સંબંધીઓમાં ચર્ચાનો વિષય બની જાય છે. સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને તેનાં કારણો તપાસ કરવાની જરૂર છે.

હાલમાં જેમ જેમ કન્યાઓનું શિક્ષણનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ તેઓ લગ્ન પ્રત્યે ઉદાસીન બની રહી છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે લગ્ન પછી તેઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તેણીનાં કપડાંથી લઈને તેને ગમતા ખોરાક સુધી બધું જ તેના સાસરિયાં અને પતિની ઈચ્છાને આધીન છે. સાસુ ઈચ્છે છે કે પુત્રવધૂ તેની ઈચ્છા પ્રમાણે જીવે, તે મુજબ વસ્ત્ર, અને સાસુના કહેવા મુજબ જ રહે. તે જ સમયે, કેટલીક સાસુઓ બેવડું વર્તન અપનાવે છે. તેના પુત્રની સલાહ પર કે દુનિયાનો વિચાર કરીને તે તેની પુત્રવધૂને તેની પસંદગીના સૂટ વગેરે પહેરવાની છૂટ આપે છે, પરંતુ તેણીને તે પણ કહે છે કે, ઘરમાં કોઈ મહેમાન  હોય ત્યારે સાડી પહેરીને તેની સામે રહો અને  ગેટ સુધી બહાર ન જાવ.

તેમજ પુત્રવધૂની નોકરીને લઈને સાસરિયાંમાં ઘણી વખત તકરાર થાય છે. સાસરિયાં ઈચ્છે છે કે પુત્રવધૂ નોકરી કરે પણ અન્ય ગૃહિણીઓની જેમ ઘર પણ સંભાળે. આ બધાની વચ્ચે જો પુત્રવધૂ ખાનગી નોકરી કરતી હોય , તેનો પગાર ઓછો હોય અને સાસરિયાઓ પહેલાંથી જ આર્થિક રીતે સદ્ધર હોય, તો તેઓ દબાણ કરવા લાગે છે કે તમારે શું કમાવાની જરૂર છે, અમારા ઘરમાં કોઈ વસ્તુની ખોટ નથી. ઘર સાચવો અને નોકરી છોડી દો. આવા સમયે પુત્રવધૂની આર્થિક સદ્ધરતા પણ તેમની આંખોમાં ખૂંચતી હોય છે.

આ સિવાય લગ્નના અમુક સમય બાદ પુત્રવધૂ પર સંતાનો પેદા કરવા માટે અલગથી દબાણ લાવવામાં આવે છે. 'કોઈ પણ સ્ત્રી માતા બન્યા વિના પૂર્ણ નથી' એવું તેના મગજમાં સારી રીતે છપાઈ ગયું હોય છે. અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પુત્રવધૂને દરેક ક્ષણે એ અહેસાસ કરાવવામાં આવે છે કે હવે તે માત્ર કોઈની વહુ, પત્ની કે પુત્રી જ નહીં પણ એક માતા પણ છે, તેથી તમારા સપનાં પાછળ છોડીને તમારા બાળક વિશે વિચારો. પ્રથમ અને એવી જ રીતે, ધીમે ધીમે સમય જતાં ખુલ્લા આકાશમાં ઉડવા ચાહતી સ્ત્રી; જે મોટાં સપનાં જોતી હતી, જે પોતાનું જીવન પોતાની રીતે જીવવા ચાહતી હતી, તે પોતાની ઈચ્છાઓનો મહેલ તોડીને એક સામાન્ય ગૃહિણી બનીને પોતાના પતિ, સાસુ, સસરા અને બાળકો માટે રહેવા લાગે છે.

બીજી બાજુ, જો પુત્રવધૂને સંતાન ન જોઈતું હોય અથવા કોઈ કારણસર સંતાન ન થઈ શકે તો તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે; તેને ગુનેગારની જેમ જોવામાં આવે છે. ઘણી વખત તો પતિ પણ પત્નીને માત્ર એટલા માટે છોડી દે છે, કારણ કે તે માતા બનવા ચાહતી નથી અથવા માતા બની શકતી નથી. આ ઉપરાંત દહેજ ઉત્પીડનની સમસ્યા પણ ચરમસીમાએ છે. દર વર્ષે અસંખ્ય પરણિતાઓ દહેજના કારણે પોતાનો જીવ ગુમાવે છે. પરણિતા તેના સાસરિયાઓ તરફથી ત્રાસ સહન કરવા માટે વધુ મજબૂર બની જાય છે કારણ કે અહીં લગ્ન સમયે ઘરની યુવા દીકરીઓને અહેસાસ કરાવવામાં આવે છે કે હવે તેના સાસરિયાઓ જ સર્વસ્વ છે.

લગ્ન પછી મોટાભાગની પરિણીતાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જે યુવતીઓ તેમના પરિવારમાં અથવા આસપાસ દરરોજ  બગડતા સંબંધો જોઈ રહી છે, તેમના મનમાં લગ્ન વિશે નકારાત્મક છબી ઉભી થાય છે અને તેઓ તે પરિસ્થિતિમાંથી પસાર થવા ચાહતી નથી. હવે તે શિક્ષણ અને પોતાની શરતો પર તેની કારકિર્દીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં માને છે. તેઓ હવે કોઈની સૂચનાને અનુસરીને ઘડિયાળના કાંટાની જેમ ૨૪ કલાક ફરવા ઈચ્છતી નથી.

સાથે જ જો યુવાનોના સંદર્ભમાં જોવામાં આવે તો તેઓમાં લગ્ન પ્રત્યે મોહભંગ થવાનાં અનેક કારણો પૈકી સૌથી મોટું કારણ બેરોજગારી અને ઓછી આવક ધરાવતી નોકરીઓ છે. કેટલાક યુવાનો સમાજની દગાબાજ અને વિશ્વાસઘાતી પરણિતા સ્ત્રીઓને ઓળખીને પોતે એવો ભય સેવે છે કે મને આવી કોઇ જુઠ્ઠી સ્ત્રી ભટકાઈ જશે તો? છુટાછેડાના અનેક કિસ્સાઓમાં મૂળ કારણ પતિ સાથે છેતરપિંડી કરતી પરણિતા પણ હોય છે. આપણી અદાલતોમાં હવે સાંઈઠથી મોટી ઉંમરનાં દંપતીઓના પણ છુટાછેડાના કેસો જોવા મળે છે. મોબાઈલ ફોન આવ્યા પછી સ્ત્રી કે પુરુષ બેમાંથી જે જેવા હોય તેવાં દેખાયા વિના રહેતાં નથી. ચરિત્ર આમ પણ ખાનગી રહે એવી વસ્તુ નથી. પોતાનો કોઈ વિશ્વાસઘાત કરે એવા હીન સંયોગો વચ્ચે અથડાવાને બદલે એકલપંથ પ્રવાસી રહેવામાં શું ખોટું છે? આ વિચારધારા નવી પેઢીમાં ઝડપથી પ્રસરી રહી છે.