જંગલમાં આવક બમણી છતાં બચત શૂન્ય : કબૂતર કાનાફૂસિયાએ ગણિત સમજાવ્યું
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- વહીવટી અધિકારી મગર માથાભારેએ દાવો કર્યો : 'જંગલવાસીઓની આવક રાજા સિંહના શાસનકાળમાં બમણી થઈ ગઈ છે. આટલી કમાણી જંગલમાં અગાઉ ક્યારેય થતી ન હતી...'
વહીવટી અધિકારી મગર માથાભારેએ સત્તાવાર આંકડો જાહેર કર્યો : 'જંગલમાં ભલે ગમે એટલા રાજાઓ રાજ કરી ગયા હોય, પરંતુ રાજા સિંહનું શાસન આ જંગલ માટે ખરા અર્થમાં સુવર્ણકાળ છે. રાજા સિંહના શાસનને ૧૧ વર્ષ થયા હોવાથી મને આંકડો જણાવતા આનંદ થઈ રહ્યો છે કે જંગલવાસીઓની સમૃદ્ધિમાં વધારો થયો છે. જંગલવાસીઓની આવક બમણી થઈ છે. તમામ પશુ-પ્રાણી-સરીસૃપ-જળચરો સમૃદ્ધ થયા છે. પહેલાં ગરીબી આંટો લઈ ગઈ હતી. બે ટંક ખાવાના ઠેકાણાં ન હતાં, આજે જંગલવાસીઓ સાહ્યબીથી રહે છે.'
અધિકારી મગર માથાભારેના અહેવાલ પછી મહારાજા સિંહના સમર્થકોએ તો સોશિયલ મીડિયામાં હેશટેગ ડબલ ઈન્કમથી ટ્રેન્ડ શરૂ થયો. ભક્ત શિરોમણી ઘેટાભાઈ ઘાસફૂસિયાએ તો તેમના સંપર્કમાં હતા એ સૌને બે-ચાર મેસેજ કરીને પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. કાગડાભાઈ કંકાસિયાએ જૂના રાજાઓના સમયમાં કેટલી આવક હતી એનો અંદાજ કાઢીને સમૃદ્ધિ કેટલી વધી છે એ દર્શાવ્યું અને એની પોસ્ટ મૂકી કે સિંહ સમર્થકોએ એ પોસ્ટને શેર કરી. સ્વઘોષિત વિદ્વાન હોલાજી હઠીલાએ સમજાય નહીં એવો લેખ લખીને ઈકોનોમીની ચર્ચા કરી.
આ બધું ચાલતું હતું ત્યારે રાજા સિંહે પણ લાઈવ ભાષણ શરૂ કર્યું : 'પ્યારા જંગલવાસીઓ! મને બેહદ આનંદ થયો છે કે આપ સૌની આવક બમણી થઈ છે. આગામી સમયમાં આપ સૌની આવક ચાર-પાંચ ગણી થાય તે માટે હું સતત પગલાં ભરી રહ્યો છું. આ ભાષણ કરી રહ્યો છું એટલે મારે પગલાં ભરવાનું અટકી ગયું છે, પરંતુ તે સિવાય હું સતત દિવસના ૧૦-૧૨ હજાર પગલાં ભરી લેતો હોઉં છું. હું પગ વાળીને બેસતો નથી. રાજા હોય એટલે આરામ ફરમાવે એવી એક માન્યતા આપણા જંગલમાં હતી, પરંતુ મને લાગે છે કે મારો જન્મ જ આ જંગલના સર્વાંગી વિકાસ માટે થયો છે એટલે હું આરામ કરતો નથી. તે એટલે સુધી કે ઊંઘતો જ નથી. માત્ર ઉપરછલ્લાં ઝોંકા ખાઈ લઉં છું. આટલાં વર્ષોમાં આપ સૌની આવક બમણી થાય તે માટે હું સતત દોડતો રહ્યો છું. મને દોડવા માટે આપણું જંગલ ટૂંકું પડે તો અન્ય જંગલમાં જઈને ય દોડું છું. આ બધું હું કોના માટે કરું છું?'
રાજા સિંહ લાઈવ ભાષણ આપતા હતા. ઓડિયન્સ સામે ન હતી, પરંતુ સમર્થકો તો આખરે સમર્થકો હતા. તેમણે મોબાઈલ સામે જોઈને જ ઊંચા અવાજે ઉત્તર આપ્યો : 'અમારા માટે મહારાજ અમારા માટે...'
રાજા સિંહે ભાષણ પૂરું કરતાં કહ્યું, 'મારે આપણા જંગલના સર્વાંગી વિકાસ માટે અન્ય જંગલોમાં જવાનું છે. હું યોગ્ય પગલાં ભરીશ તો જ આપની આવક ત્રણ-ચાર ગણી કરી શકીશ. વંદે જંગલમ્. જંગલ માતા કી જય!'
ભાષણ પછી તો રાજા સિંહ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા માંડયા. જે કેટલાક ટીકાકારોએ જરાક સરખો વ્યંગ કર્યો એના પર સિંહ સમર્થકો તૂટી પડયા. સમર્થકોની દલીલ હતી કે મગર માથાભારેનો સત્તાવાર અહેવાલ આવ્યો છે કે જંગલવાસીઓની આવક બમણી થઈ ગઈ છે, તો પછી સવાલ જ ઉઠતો નથી. ટીકાકારોએ વળતી દલીલ કે મગર માથાભારે રાજા સિંહના ઈશારે કામ કરે છે તો એના અહેવાલને કેવી રીતે ઓથેન્ટિક ગણી શકાય? આવી દલીલો કરનારા સામે સિંહ સમર્થકોએ ધારદાર વળતા જવાબો આપ્યા કે તમારા બાપ-દાદાઓની આવક હતી એની સામે તમારા આવકના આંકડા મૂકી જુઓ, તમને તફાવત ખબર પડી જશે. ટીકાકારોએ ફુગાવો અને મોંઘવારી જેવા ફેક્ટર્સની વાત કરી પણ એવી દલીલોનો કોઈ અર્થ ન હતો.
ટીકાકાર કે સમર્થક ન હોય એવા જંગલવાસીઓને તો સમજાતું જ ન હતું કે ખરેખર શું કહેવું? બાબાલાલ બકરાએ પોસ્ટ કરી : 'મને લાગે છે કે આવક વધારવા મહારાજા સિંહ બીજું કંઈ ન કરે અને માત્ર મોંઘવારી ઘટાડે તોય ઘણું છે.'
ચક્રધર ચકલાએ કટાક્ષ કર્યો : 'મહારાજા સિંહ જોરદાર 'પગલાં' ભરી રહ્યા છે. ટૂંક સમયમાં તેમનાં પગલાં ગણવા માટે જંગલની સરકાર કોઈને નોકરીએ રાખશે ત્યારે જંગલમાં નવી રોજગારી સર્જાશે.'
કબૂતર કાનાફૂસિયો, મસ્તરામ મોર, માછલાકુમાર મહાસીર વગેરેએ ચક્રધર ચકલાની પોસ્ટ લાઈક કરી. કબૂતર કાનાફૂસિયાએ લખ્યું : 'મને લાગે છે કે મહારાજા સિંહ 'બમણા' શબ્દનો અર્થ કદાચ સમજતા નહીં હોય.'
મંગળા માછલીએ કમેન્ટ કરી : 'એવુંય બને કે મગર માથાભારેને 'બમણા' શબ્દનો અર્થ ખબર નહીં હોય.'
આ બધી દલીલો-ટીખળો-વ્યંગ વચ્ચે થોડીવાર પછી કબૂતર કાનાફૂસિયાએ આવક બમણી થવાનું ગણિત સમજાવ્યું. કબૂતર કાનાફૂસિયાએ મહારાજા સિંહની ગુફાના ઉચ્ચ સ્તરીય સૂત્રો સાથે કંઈક સેટિંગ કરીને આવક બમણી કરવાના અહેવાલની નકલ મેળવી હતી.
એ અહેવાલમાં પાછળ જે નકલો જોડી હતી એમાં જણાતું હતું કે રાજા સિંહ સત્તામાં આવ્યા પછી આવક વધારાઈ હતી, પરંતુ ચીજવસ્તુઓ પર ટેક્સ વસૂલીને એ રકમ પાછી મેળવી લેવાતી હતી. એટલે આવક ભલે બમણી દેખાતી હતી, પરંતુ ટેક્સના સ્વરૂપે જંગલના સરકારી ખજાના છલકાતા હતા એટલે જંગલવાસીઓ બચત કરી શકતા ન હતી.