Get The App

પર્યાવરણ દિવસે જંગલવાસીઓનું નવું સૂત્ર : પર્યાવરણ પચાવો

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
પર્યાવરણ દિવસે જંગલવાસીઓનું નવું સૂત્ર : પર્યાવરણ પચાવો 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- આજના દિવસે હું આપને આગ્રહભરી વિનંતી કરું છું કે આપ સૌ 108 વખત 'પર્યાવરણ બચાવો' મંત્રની માળા જપો. તેનાથી આપણી આસપાસમાં હકારાત્મક વાતાવરણ બનશે : રાજા સિંહની અપીલ

જંગલમાં અલગ અલગ દિવસો ઉજવવાની પરંપરા છેલ્લા થોડા સમયથી શરૂ થઈ હતી. એક દિવસ ઉજવણી કરી લેવાથી બાકીના દિવસોમાં એ કામમાંથી મુક્તિ મળતી હતી એટલે જંગલવાસીઓ માટે આ વ્યવસ્થા બહુ ઉપયોગી થઈ પડી હતી. એવો જ એક પર્યાવરણ દિવસ આવી ગયો હતો. સવારથી જ પર્યાવરણ દિવસ ઉજવવાનો ઉત્સાહ વર્તાતો હતો.

સૌથી પહેલાં મહારાજા સિંહે તેમના આગવા અંદાજમાં એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો : 'મારા વહાલા જંગલવાસીઓ! હું આપ સૌને પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.' સહેજ વિરામ લઈને રાજા સિંહે આગળ ચલાવ્યું, 'હું બહુ નાનો હતો ત્યારથી જ પર્યાવરણની જાળવણી કરતો હતો. હું દરરોજ પર્યાવરણ બચાવો, પર્યાવરણ બચાવો એવી ૧૦૮ માળા કરતો હતો. તેનાથી પોઝિટિવિટીના પર્યાવરણનું નિર્માણ થાય છે. હું આપ સૌને આજના દિવસે આગ્રહભરી વિનંતી કરું છું કે આપ પર્યાવરણ બચાવવાના આ ઉપક્રમમાં સહભાગી બનો અને ૧૦૮ વખત પર્યાવરણ બચાવો મંત્રની માળા જપો.' 

રાજા સિંહે સમર્થકોને ટાસ્ક આપ્યા બાદ તેમની અનોખી સ્ટાઈલમાં સૂત્ર વહેતું મૂક્યું : 'વંદે જંગલમ્... વંદે પર્યાવરણમ્...'

રાજા સિંહે સૂત્ર આપ્યું એ સાથે જ તેમના સમર્થકોએ તુરંત જ એના પોસ્ટર્સ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનો ટ્રેન્ડ શરૂ કર્યો. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ પોસ્ટર બનાવ્યું. એક તરફ રાજા સિંહનો મોટો ફોટો. બીજી તરફ ઘેટાભાઈ ઘાસફૂસિયાનો ફોટો. એમાં ઉપર મોટા અક્ષરે સૂત્ર દેખાતું હતું : વંદે જંગલમ્... વંદે પર્યાવરણમ્... પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં થોડાં વૃક્ષો પણ ઝાંખાં-પાંખાં દેખાતાં હતાં. એ જોઈને જ ખબર પડતી હતી કે પોસ્ટર પર્યાવરણ દિવસનું છે.

રાજા સિંહ માટે ડોર-ટુ-ડોર ફરીને કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરીને 'વિસ્તારક'ની ઉપાધિ મેળવનારા વરુભાઈ વિસ્તારકે તો 'વંદે જંગલમ્... વંદે પર્યાવરણમ્...' એવું લખેલું પોસ્ટર બનાવીને તેમના મોબાઈલમાં જેટલા નંબર સેવ હતા એ સૌને શેર કર્યું. એની નીચે ખાસ નોટ લખી : 'આજે આપણે સૌ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને પર્યાવરણ બચાવી લઈએ. જો પર્યાવરણને બચાવવા માટે બીજું કશું ન કરી શકાય તો આપણે ડિજિટલ ડિવાઈસના માધ્યમથી પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરીએ.' 

વરુભાઈ વિસ્તારકે પણ આવડે એવું નવું સૂત્ર બનાવીને વહેતું મૂક્યું : 'સૌ મળીને પર્યાવરણ બચાવીએ... પ્રતીકાત્મક વૃક્ષારોપણમાં સહભાગી થઈએ!'

રાજા સિંહની અપીલ પછી ઘેટાભાઈ ઘાસફૂસિયા અને વરુભાઈ વિસ્તારકે જે રીતે પર્યાવરણ બચાવવાની ઝુંબેશને વેગવંતી બનાવી હતી તે જોઈને સ્વઘોષિત વિદ્વાન હોલાજી હઠીલા, કાગડાભાઈ કંકાસિયો, બકુલેશ બળદ, કૂતરાભાઈ કડકા, બિલાડાભાઈ બબાલી જેવા સિંહ સમર્થકો પણ પર્યાવરણ બચાવવાની આ પ્રતીકાત્મક ઝુંબેશમાં જોડાયા.

કાર્યકરો તો તેમની રીતે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન કરતા હતા, પરંતુ નેતાઓએ તો એક કદમ આગળનું વિચારવું પડે. સાંસદ ગેંડાભાઈ ગુમાની અને ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ આવા પોસ્ટર્સ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા ને સાથે સાથે સંયુક્ત રીતે જાહેરાત કરી: 'આજના પર્યાવરણ દિવસે આપણે સૌ મળીને સાંજે પર્યાવરણ બચાવો મંત્રની માળા કરીશું. સૌ કાર્યકરો, સમર્થકો ચોક્કસ પધારે અને પર્યાવરણ બચાવવાના મહારાજા સિંહના આ ઉપક્રમમાં સહભાગી બને. કાર્યક્રમ પૂરો થયા પછી સ્વરૂચિ નાસ્તો કરીશું.' 

આ લીટી સૌથી અગત્યની હતી. સ્વરૂચિ નાસ્તો ઓડિયન્સને કાર્યક્રમના સ્થળે ખેંચી લાવવામાં બહુ ઉપયોગી થઈ પડતો.

નક્કી કરેલા સ્થળે, નક્કી થયેલા સમયે સૌ કાર્યકરો, સમર્થકો આવી ગયા. એ બધાને ઠીક-ઠીક રાહ જોવડાવ્યા પછી ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ અને સાંસદ ગેંડાભાઈ ગુમાની પણ આવી પહોંચ્યા. જંગલમાં નેતાઓ નક્કી કરેલા સમયથી મોડા આવે એ પરંપરા હતી. આ બંને નેતાઓએ પણ પરંપરા પ્રમાણે કર્યું. સૌ આવી ગયા પછી સમૂહમાં, ઊંચા અવાજે 'પર્યાવરણ બચાવો... પર્યાવરણ બચાવો...'ની માળા જપવાનું શરૂ થયું. અવાજ એટલો વધી પડયો કે ઘણાં પ્રાણી-પક્ષીઓ વહેલા સૂઈ ગયાં હતાં એ સફાળા જાગી ગયાં. માળાનો જાપ પૂરો થયો પછી મોટી સ્ક્રીનમાં પ્રતીકાત્મક રીતે સાંસદ અને ધારાસભ્યએ ક્લિક કરીને વૃક્ષારોપણ કર્યું.

એ પછી શરૂ થયો નાસ્તાનો સૌથી મહત્ત્વનો કાર્યક્રમ. નાસ્તા વખતે ઓડિયન્સ એટલું વધી ગયું કે તેમના માટે જગ્યા કરવા માટે સવારે જ ત્યાં પ્રતીકાત્મક નહીં, પણ સાચે સાચા રોપા વાવ્યા હતા એ કાઢી નાખવા પડયા. એ પછી સૌ મોકળાશથી બેઠા અને ખાણી-પીણીને ન્યાય આપ્યો.

કોઈએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો પછી જંગલવાસીઓએ ચિંતા વ્યક્ત કરી. જંગલની સરકારના ટીકાકાર કબૂતર કાનાફૂસિયાએ સવાલ કર્યો : 'પ્રતીકાત્મક વૃક્ષારોપણ એટલે શું? આવું કંઈ હોઈ શકે?'

કલાકાર મસ્તરામ મોરે વ્યંગ કર્યો : 'પર્યાવરણની માળા જપવાથી પર્યાવરણ બચી જતું હોય તો એવું સૌએ કરવું જોઈએ.'

વડીલ હીરજી હંસે કટાક્ષ કર્યો : આ રીતે પર્યાવરણ બચવાનું નથી. મારી સલાહ માનો તો અત્યારે જે પર્યાવરણ છે એને જ પચાવતા શીખો. હું તો નવું સૂત્ર આપું છું - પર્યાવરણ બચાવો કે ન બચાવો, પર્યાવરણ પચાવો!'

ઘણાં જંગલવાસીઓએ પણ સોશિયલ મીડિયામાં સૂત્ર લખ્યું: 'પર્યાવરણ પચાવો!'

Tags :