મોરબી નજીક 7720 કિલો ચોખા, 6880 કિલો ઘઉંના શંકાસ્પદ જથ્થા સાથે 2 ઝડપાયા
શનાળા બાયપાસ પાસે પોલીસ દ્વારા દરોડો : આધાર - પુરાવા વિનાના રૂા. 2.34 લાખના ઘઉં-ચોખાના જથ્થા સાથે 15 લાખ 34,000નો મુદ્દામાલ કબજે, શંકાસ્પદ જથ્થા અંગે પુછતાછ
મોરબી, : મોરબીના શનાળા બાયપાસ નજીક ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી આધાર પુરાવા વગરના ઘઉં અને ચોખાનો 2.34 લાખનો જથ્થો મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા બાયપાસ લાયન્સનગરમાં મંદિર સામે અમુક ઈસમો ગેરકાયદેસર ઘઉં અને ચોખાનોજથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ આર એન ભટ્ટ, તથા ટીમે રેડ કરી હતી જેમાં બોલેરો પીકઅપ માથી અને ટ્રક માંથી ચોખા અને ઘઉંના બાચકા રાખેલ હતા.
જ્યાં હાજર લાલજીભાઈ ઉર્ફે હરેશ સુરેશભાઈ દેલવાણીયાઅનેજેશા ગગજી વિકાણી (રહે બંને લાયન્સનગર) પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યા ના હતા. જેથી પોલીસે ચોખાની કુલ 193 બોરી જેમાં 7720 કીલો ચોખા કીમત રૂ 1,31,240 અને ઘઉની કુલ 172 બોરી 6880 કીલો ઘઉં કીમત રૂ. 1,03,200 તેમજ 13 લાખની કિંમતના બે વાહન આમ કુલ મળીને 15,34,440નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.