ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડી ખાતે કન્ટેરનર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત
બસમાં સવાર બે મુસાફરોને ઇજા પહોંચી
પુરપાટ આવતા કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો, બસ વીજ પોલ સાથે અથડાઇ
આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડી ખાતે ગઈકાલ રાત્રિના સુમારે એક કન્ટેનર તથા એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે ભાલેજ પોલીસે કન્ટેનરના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના વતની રમેશભાઈ રામાભાઈ બારીયા છેલ્લા તેરેક વર્ષથી એસ.ટી.ખાતામાં ડ્રાઈવર કમ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ એક્સપ્રેસ એસ.ટી. બસ લઈને સાંજના સુમારે દાહોદથી મુસાફરોને બેસાડી અમદાવાદ ખાતે ગયા હતા. બાદમાં રાત્રિના સુમારે તેઓ અમદાવાદથી દાહોદ પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાન અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી નડિયાદ બાયપાસ થઈ તેઓ પણસોરા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાલેજ તરફથી પુરઝડપે આવી ચઢેલ કન્ટેનરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી એસ.ટી. બસને ટક્કર મારતા બસને નુકસાન પહોંચ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. કન્ટેનરની ટક્કર વાગતા એસ.ટી. બસ એક ઈલેક્ટ્રીક વીજ પોલ સાથે અથડાઈ હતી. આ બનાવ અંગે રમેશભાઈ બારીયાએ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક શહીદ ઈસલામ (રહે.રાજસ્થાન) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.