જ્યાં સુધી હિન્દુઓ સહી સલામત ભારત નહીં પહોંચે ત્યા સુધી ગુજરાનવાલા નહીં છોડું : આચાર્ય વિજય વલ્લભસૂરિ મહારાજ
ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે પૂ.વલ્લભસૂરિ જી મ.સા.નું ચોમાસુ પાકિસ્તાનના ગુજરાનવાલામાં હતું
વડોદરા,તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯, ગુરૃવાર
દેશભરમાં તા.૨૮ અને ૨૯ ડિસેમ્બર દરમિયા પંજાબ કેસરી તરીકે પ્રસિધ્ધ એવા વડોદરાના પનોતા પુત્ર પ.પૂ. આચાર્ય વલ્લભસૂરિ મહારાજ સાહેબની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી થશે. આ સાર્ધશતાબ્દી મહોત્સવનો મહાઉત્સવ ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ મહારાજ સાહેબ અને આચાર્ય મોક્ષાનંદ મહારાજ સાહેબની નિશ્રામાં વડોદરામાં ઉજવાશે.
ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ મહારાજ સાહેબ અને આચાર્ય મોક્ષાનંદ મહારાજ સાહેબે આજે વડોદરા પ્રવેશ કર્યો હતો અને અકોટા જૈન સંઘ ખાતે પધરામણી કરી હતી. ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ મહારાજ સાહેબ ગુરૃ ભક્તિનો મહિમા સમજાવ્યો હતો અને પૂ.વલ્લભસૂરિજીનો પ્રેરક પ્રસંગ વર્ણવ્યો હતો કે ૧૯૪૭માં જ્યારે ભારત પાકિસ્તાના ભાગલા થયા ત્યારે પૂ.ગુરૃજીનું ચોમાસુ પાકિસ્તાનના ગુજરાનવાલામાં હતું. ભાગલાની જાહેરાત સાથે જ ચારે તરફ માર-કાટના દ્રશ્યો સર્જાવા લાગ્યા હતા. જ્યાં નજર કરો ત્યાં હિંસા દેખાતી હતી. આવા સમયે પૂ.ગુરૃદેવને ભારત પરત લાવવા માટે ભારત સરકારે ખાસ પ્લેનની વ્યવસ્થા કરી હતી અને પૂ.ગુરૃદેવને પરત આવવા વિનંતી કરી હતી પરંતુ ગુરૃદેવે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને ભારત સરકારને કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાનવાલાથી હિન્દુઓ સહિસલામત ભારત નહી પહોંચે ત્યાં સુધી હું અહીથી પ્રસ્થાન નહી કરૃ. તમામ હિન્દુઓ અને જૈન વેપારીઓ ત્યાથી નીકળવા લાગ્યા હતા છેલ્લે બાકી રહેલા હિન્દુઓ અને જૈનો સહિત ગુરૃદેવને પરત લાવવા ભારત સરકારે ટ્રકો મોકલ્યા હતા જેમાં ગુરૃજી તમામ લોકો સાથે ભારત પરત આવ્યા હતા.
ગુરૃજી તમામ લોકોને લઇને અમૃતસર પહોંચ્યા અને ત્યાં સ્થાઇ થયા હતા. જૈન વેપારીઓ બધુ જ ગુજરાનવાલામાં છોડીને આવ્યા હતા પરંતુ ગુરૃજીના આશીર્વાદથી અહી સેટલ થયા અને સંપન્ન થયા ત્યારથી ગુરૃજી પંજાબ કેસરી તરીકે ઓળખાય છે.
નવલખી મેદાન પર શનિવારથી દ્વિદિવસીય પંજાબ કેસરી વિજયવલ્લભસૂરિ મ.સા.સાર્ધશતાબ્દી મહોત્સવ
શનિવારે કોઠીપોળ જૈન દેરાસરથી સાર્ધશતાબ્દી રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
વડોદરામાં નવલખી મેદાન ખાતે તા.૨૮ અને ૧૯ ડિસેમ્બર બે દિવસ વિજયવલ્લભસૂરિ જન્મ સાર્ધશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ છે.
તા.૨૮મી ડિસેમ્બરે સવારે ૮.૩૦ કલાકે કોઠીપોળ જૈનસંઘ દેરાસરથી સાર્ધશતાબ્દી રથ સાથે વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ થશે અને વાજતે ગાજતે નવલખી ગ્રાઉન્ડ પહોંચશે જ્યાં સવારે ૧૦ વાગ્યે ધર્મસભાનું આયોજન કરાયુ છે. બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તો સાંજે ગુરૃદેવના જીવન પર બનેલી ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ યુગદ્રષ્ટાનો પ્રિમિયર શો યોજાશે.
બીજા દિવસે રવિવારે સવારે ૧૦ વાગ્યે ધર્મસભા યોજાશે અને બપોરે અભિનંદન સભાનું આયોજન કરાયુ છે.