જામનગર મહા નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન તાવના 270 કેસ મળી આવ્યા
જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય રોગચાળા તેમજ અન્ય વાઇરલ બીમારીના રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને ગત સપ્તાહ દરમિયાન તાવના ૨૭૦ કેસ મળી આવ્યા છે.
જામનગર શહેરમાં મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકોનાં ઘરે ઘરે જઈ હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરીને કરવામાં આવી રહેલ છે. આ સર્વેલન્સ કામગીરી મુજબ તા.૧૪/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨ દરમ્યાન અઠવાડિક ધોરણે ૩૬૦૦૬૪ જેટલી વસ્તી અને ૯૦૮૫૭ જેટલા ઘરોને આ સર્વે હેઠળ આવરી લેવામાં આવેલ છે.
આ ઘરોમાંથી ૫૦૩૫૪૦ જેટલા પાત્રો ચકાસવામાં આવેલ જેમાંથી ૨૮૬૬ પાત્રો પોઝીટીવ જણાયેલ આ પાત્રોમાંથી ૧૪૬૦ જેટલા પાત્રોને ખાલી કરાવેલ તેમજ ૫૯૩૫૭ જેટલા પાત્રોમાં એબેટ નાખવાની કામગીરી કરવામાં આવેલ છે. આ સર્વે દરમ્યાન વિસ્તારમાંથી ૨૭૦ તાવના કેસ મળેલા જેને યોગ્ય સારવાર આપવામાં આવેલ. આ રોગચાળો નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત થવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લઇ, વાહકજન્ય રોગચાળો નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા જણાવવામાં આવે છે. આપના ઘરે આવતા આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા વિંનતી છે. આ રોગચાળોને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સાથ સહકાર અતિ આવશ્યક છે.
હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમ્યાન શહેરીજનોમાં વાહકજન્ય રોગ અટકાયત સંબંધિત જાગૃતિ આવે તે માટે દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમ્યાન પત્રિકા વિતરણ કરવામાં આવી રહેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનાં પોઝીટીવ કેસમાં જાણ થયે તુરંત જ ગાઈડલાઈન મુજબની રોગનિયંત્રણ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. પોઝીટીવ કેસના વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા તાવના કેસ શોધી કાઢવા, પાણીનાં પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે, નાગરિકો દ્વારા મચ્છર નિયંત્રણનાં પગલાં યોગ્ય રીતે લેવાય તે બાબતે સમજણ આપવામાં આવી રહી છે.
શહેરનાં નાગરિકોએ પોતાના ઘરમાં નીચે જણાવેલ સૂચનોનું અમલીકરણ કરવું.
• પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.
• પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
• મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો.
• મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરો.
• સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.
• તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો.
“ડ્રાય ડે ઉજવો” દર અઠવાડિયે એકવાર સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા." અનુરોધ કરાયો છે.