વિજયેન્દ્ર પ્રસાદ રાજ્યસભામાં જતાં આરઆરઆરની સિક્વલ મોડી પડશે
- સલમાનની બજરંગી ભાઈજાન ટૂ પણ વિલંબમાં પડી શકે
- ફિલ્મ લેખન કરતાં રાજ્યસભાને વધુ અગ્રતા આપવાની સેલિબ્રિટી રાઈટરની જાહેરાતથી શરુ થયેલી અટકળો
મુંબઈ : પોતે હવે ફિલ્મ લેખન કરતાં રાજ્યસભાના સભ્ય તરીકેની કામગીરીને વધારે અગ્રતા આપશે અને ફુરસદના સમયે જ ફિલ્મ લેખન કરશે તેવી કેવી વિજ્યેન્દ્રપ્રસાદની જાહેરાતને પગલે આરઆરઆરની સિક્વલ સહિતની કેટલીક ફિલ્મો મોડી પડી શકે છે.
કેટલીય સુપરડુપર હિટ ફિલ્મોના સેલિબ્રિટી રાઈટર વિજ્યેન્દ્ર પ્રસાદની તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થતા ૧૨ સભ્યોમાંના એક તરીકે વરણી કરવામાં આવી છે. ેતના કારણે બોલીવૂડ તથા સાઉથ ફિલમ ઉદ્યોગમાં ખુશીની લ્હેર છવાઈ છે અને તેમને અનંક અભિનંદનો પણ મળી રહ્યા છે.
જોકે, તાજેતરમાં વિજ્યેન્દ્ર પ્રસાદે એમ કહ્યું હતું કે પોતે રાજ્યસભાના સભ્ય તરીકેની કામગીરીને બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. તેઓ ફૂલટાઈમ રાજ્યસભા સભ્ય તરીકેની કામગીરને જ પ્રાથમિકતા આપશે અને તેની વચ્ચે જો સમય મળશે તો ફૂરસદે ફિલ્મ લેખન પર ધ્યાન આપશે.
રાજ્યસભામાં નિયુક્ત થતા સભ્યોમાંથી મોટાભાગના નિષ્ક્રિય જ રહેતા હોય છે તે વચ્ચે વિજ્યેન્દ્ર પ્રસાદની આ જાહેરાત લોકોને પસંદ પડી છે. પરંતુ, સાથે સાથે એવો સવાલ પણ ઉઠાવાઈ રહ્યો છે કે તના લીધે રામચરણ અને જુનિયર એનટીઆરની મેગા હિટ ફિલ્મ આરઆરઆરની સિક્વલ પર અસર પડી શકે છે.
તેમણે થોડા સમય પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં આ સિક્વલ માટે સ્ક્રિપ્ટ લખવાનું શરુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. હવે તેઓ લેખન માટે પૂરતો સમય નહીં ફાળવી શકે તો આ સ્ક્રિપ્ટનું કામ વિલંબમાં પડી શકે છે. આરઆરઆર જે દરજ્જાની ફિલ્મ બની છે તે જોતાં તેની સ્ક્રિપ્ટની સિક્વલ પણ માત્ર તેઓ જ લખી શકે છે.
આ ઉપરાંત વિજ્યેન્દ્ર પ્રસાદ બજરંગી ભાઈજાન ટૂની સિક્વલ માટે પણ સ્ટોરી લખી રહ્યાનું ઘણા સમયથી ચર્ચાય છે. સલમાન ખાનની બજરંગી ભાઈજાનની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી હતી. હવે આ ફિલ્મની સિક્વલનું કામ પણ પાછું ઠેલાય તેવી ચર્ચા છે.