વિરાટ કોહલી પર બરાબરના ભડક્યાં સુનિલ ગાવસ્કર: સ્ટ્રાઈક રેટ મુદ્દે કાઢી ભડાશ, જુઓ શું કહ્યું
Updated: May 5th, 2024
Image Source: Twitter
Sunil gavaskar on virat kohli: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલી પર બરાબરના ભડક્યાં છે. ગાવસ્કરે કોહલીની સ્ટ્રાઈક રેટ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી અને તેને અને બ્રોડકાસ્ટરને આડે હાથ લીધા છે. શનિવારે રમાયેલી મેચમાં RCBએ ગુજરાત ટાઈટન્સને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા ગાવસ્કરે કોહલીના નિવેદન પર જવાબ આપ્યો હતો.
ગાવસ્કરે કહ્યું કે, આ બધા લોકો એવી વાત કરે છે કે અમને બહારના શોરની પરવા નથી. જો એમ હોય, તો પછી તમે તેનો જવાબ શા માટે આપી રહ્યા છો? ભલે વધારે નહીં પણ થોડી ક્રિકેટ તો અમે પણ રમ્યા છે. અમારી પાસે કોઈ એજન્ડા નથી. અમે જે જોઈએ છીએ તેના વિશે વાત કરીએ છીએ. અમને કોઈની પસંદ-નાપસંદની પરવા નથી. અમે બસ જે થઈ રહ્યું છે તેના પર ફક્ત પોતાનો અભિપ્રાય આપીએ છીએ.
તેમણે કહ્યું કે, કમેન્ટેટર ત્યારે સવાલ ઉઠાવે છે જ્યારે સ્ટ્રાઈક રેટ 118નો હોય છે. હું વધુ વિશ્વાસ સાથે નથી કહી શકતો કારણ કે હું વધારે મેચ નથી જોતો તેથી મને નથી ખબર કે અન્ય કોમેન્ટેટર્સ શું કહે છે. પરંતુ જો તમે 118ના સ્ટ્રાઈક રેટથી રમીને આઉટ થઈ જાઓ છો અને ઈચ્છો છો કે, તેના માટે તમારી પ્રશંસા કરવામાં આવો તો આ અલગ જ મામલો છે.
કોહલીએ શું કહ્યું હતું?
કોહલીએ ગુજરાત સામે 28 એપ્રિલે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ 159.09ની સ્ટ્રાઈક રેટથી છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ તેણે ટીકાકારોને જવાબ આપતા કહ્યું હતું કે, લોકો મારી રમવાની રીત અને સ્પિનરો સામેના મારા સંઘર્ષ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ મારા માટે જીત જ સર્વસ્વ છે. આ જ છેલ્લા 15 વર્ષથી રમવાનું એકમાત્ર કારણ છે. મેદાન પર રમવું અને કોમેન્ટ્રી બોક્સમાંથી કોમેન્ટ્રી કરવી એ બંને સ્થિતિ એકદમ અલગછે. તમે તમારી ટીમ માટે જીત હાંસલ માગો છો. હું માત્ર મારું કામ કરી રહ્યો છું. હું આ જ રીતે રમું છું. લોકો ગમે તે કહે, હું મારી રમત સારી રીતે જાણું છું. લોકોના પોતાના મંતવ્યો અને પૂર્વગ્રહો છે. જે લોકો મેદાન પર 24 કલાક એ જ કામ કરી રહ્યા છે તેઓ આ વાતને સમજે છે કે શું થઈ રહ્યું છે.